એ દિવસે સીટી બસમાં વધારે ભીડ નહોતી. રસ્તાઓ પણ લગભગ સુના હતા. ધાર્મિક વિવાદને લઈને જે હિંસક ઘટનાઓ બની હતી તે જ કદાચ ફેલાયેલા તનાવ માટે જવાબદાર હતી.
એ બંને બસમાં એક જ સીટ પર બેઠાં હતા. દેખાવથી તો બંને બુધ્ધિજીવી લાગતાં હતા. બંનેની વચ્ચે ધાર્મિક કટ્ટરતાની વિરૂધ્ધ વાતચીતનો દૌર ચાલી રહ્યો હતો.
બંને અલગ અલગ ધર્મ્ ના હતા, પરંતુ બંનેના વિચાર ખુલ્લા અને નિષ્પક્ષ હતા. એમના મનમાં એકબીજાના ધર્મ માટે સન્માનની લાગણી છલકાઈ રહી હતી.
ધાર્મિક સંર્કિણતાની નીંદા કરતા-કરતા, તર્ક આપતા, વાતચીતનો દૌર જોર પકડી રહ્યો હતો......... ત્યારે જ રસ્તામાં એક ધાર્મિક સ્થળ આવ્યુ, એમાથી એકનું માથુ એની જાતેજ નમી ગયું, પરંતુ બીજાની ઈચ્છા હોવા છતાં તે માથુ નમાવી શક્યો નહિ.
ભાવાનુવાદ - કલ્યાણી દેશમુખ