શેરી ગરબા અને દાંડિયા રાસમાં વિધર્મી લોકોના પ્રવેશ સામે વિશ્વ હિન્દુ પરિષદનો વિરોધ

બુધવાર, 7 ઑક્ટોબર 2015 (14:54 IST)
નવરાત્રીના તહેવાર નજીક આવી રહ્યા છે ત્યારે શેરી ગરબા અને દાંડિયા રાસમાં વિધર્મી લોકોના પ્રવેશ સામે વિશ્વ હિન્દુ પરિષદે વિરોધ નોંધાવ્યો છે તેમજ શેરી ગરબા માટે લાઉડ સ્પિકરને બંધ કરાવાશે તો મસ્જિદો ઉપરના સ્પિકર્સને પણ ઉતારવાની ચીમકી વિશ્વ હિન્દુ પરિષદ-ગુજરાતના મહામંત્રી રણછોડ ભરવાડે આપી છે. 

અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધતાં ભરવાડે જણાવ્યું હતું કે નવરાત્રી તેમજ હિન્દુઓના અન્ય તહેવારોમાં સરકાર તરફથી તેમજ વિધર્મીઓ તરફથી અનેક પ્રકારના નિવેદનો અને સૂચનો આવે છે. નવરાત્રીએ બંધારણીય તહેવાર નથી, વેદકાળથી ચાલ્યો આવતો તહેવાર છે. રાજ્યમાં નવરાત્રી દરમિયાન શેરી ગરબામાં પોલીસ તંત્ર દ્વારા રાતે ૧ર વાગ્યા બાદ લાઉડ સ્પિકર બંધ કરાવવામાં આવશે તો વિશ્વ હિન્દુ પરિષદ તેને સાંખી નહીં લે. વિશ્વ હિન્દુ પરિષદ મસ્જિદો ઉપરના સ્પિકર્સને ઉતરાવશે. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવરાત્રીમાં ગરબા રમવા માટે કોઈ પણ વિધર્મી આવશે તો તેને ગંગાજળ અને ગૌમૂત્રનો છંટકાવ કરીને તેને કંકુ તિલક કરાવીને તેના નામજોગ જાહેરાત કરાશે ત્યાર બાદ તેને ગરબામાં પ્રવેશ અપાશે. રાજ્યની તમામ સોસાયટીઓ અને શેરીઓમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો લવજેહાદના કિસ્સાઓને અનુલક્ષીને લોકોને જાગૃત કરાશે. 
તેમણે જણાવ્યું હતું કે હિન્દુ ધર્મના તહેવારોમાં સરકાર સહિતના તમામ લોકો યેનકેન પ્રકારના પ્રતિબંધો લાદવા કહે છે. પરંતુ અન્ય ધર્મના તહેવારોમાં જીવહિંસા થાય છે તેની ઉપર કેમ પ્રતિબંધ લગાવાતો નથી.


વેબદુનિયા પર વાંચો