કચ્છમાંથી પકડાયેલા કેટલાક માછીમારો આઈએસઆઈના સંપર્કમાં

મંગળવાર, 18 ઑક્ટોબર 2016 (16:41 IST)
૧પ દિવસ અગાઉ કચ્છના ક્રિક વિસ્તારમાંથી કેટલાક પાકિસ્તાની માછીમારોને બીએસએફની ટીમે ઝડપી લીધા હતા. માછીમારોની પૂછપરછ દરમ્યાન કેટલાક માછીમારો પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓના સંપર્કમાં હોવાનું ખૂલ્યું છે.  તેઓ માછીમારીના બહાને કચ્છની બોર્ડરની રેકી કરતા હોવાનું બીએસએફનાં સૂત્રોએ જણાવ્યું હતું. ઉપરાંત કચ્છમાંથી ઝડપાયેલા બે જાસૂસોએ ત્રણ વર્ષમાં અનેક માહિતી પાકિસ્તાન મોકલી હતી. સોશિયલ મીડિયા દ્વારા તેઓ માહિતી મોકલતા હોવાનું બહાર આવ્યું છે. કચ્છના ક્રિક વિસ્તારમાંથી પ ઓક્ટો.ના રોજ પાકિસ્તાનના માછીમારોની બોટ સાથે ધરપકડ કરાઇ હતી. તેઓ પાસેથી ખાસ કોઇ માછીમારોનો સામાન મળી આવ્યો ન હતો, જેથી બીએસએફને શંકા ઉપજી હતી. માછીમારોની પૂછપરછ કરવામાં આવતાં બે માછીમાર નહીં હોવાનું બહાર આવ્યું હતું. વધુ પૂછપરછ દરમ્યાન કેટલાક માછીમારો પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓના સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું હતું. બીએસએફનાં સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરહદે માછીમારીના બહાને કટલાક લોકો રેકી કરતા હોય છે, જેથી પોલીસ અને બીએસએફને એલર્ટ રહેવા પણ જણાવાયું છે.

વેબદુનિયા પર વાંચો