અમદાવાદમાં RBI દ્વારા નાણા બદલી આપવાનો ઈનકાર, લોકોનો હોબાળો

મંગળવાર, 3 જાન્યુઆરી 2017 (16:47 IST)
સરકાર નોટબંધીને લઈને ખોટા નાટકો કરી રહી છે કે અધિકારીઓ લોકોને હેરાન કરવાના નવા પેંતરા અજમાવે છે એ લોકોને નથી સમજાતુ. લોકોએ નોટબંધીને લઈને અમદાવાદની રિઝર્વ બેંક બહાર હલ્લાબોલ મચાવ્યો હતો. નોટબંધીનો અમલ કરાયો તે દરમિયાન આશ્રમ રોડ સ્થિત ભારતીય રિઝર્વ બેંક બહાર લોકોની લાંબી લાઈન લાગતી હતી. આવામાં રૂ. 500-1000ની ફાટેલી અથવા ઘણી જૂની નોટો લઈ લોકો, ખાસ કરીને ગામડાના અબૂધ અને નિયમથી અજાણ નાગરિકો બદલાવવા આવતા હતા. આ લોકોને તે સમયે બેન્કના અધિકારીઓએ એવું કહ્યું હતું કે આવી નોટો 1લી જાન્યુઆરી પછી બદલી અપાશે. પરંતુ હવે જ્યારે આ લોકો જૂની નોટ બદલાવવા આવ્યા તો રિઝર્વ બેંકના મુખ્ય દરવાજે રૂ. 500 અને રૂ. 1,000ની નોટ બદલી આપવામાં આવશે નહીં, તેવા બોર્ડ લગાવાતા તેમનામાં રોષની લાગણી ફેલાઈ છે. આવા લોકોએ રિઝર્વ બેંક સામે સોમવારે હોબાળો કર્યો હતો અને જૂની નોટ ન બદલવા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. 

વેબદુનિયા પર વાંચો