આર્મી વેલ્ફેર ફંડ માટે બારડોલીમાં દેશનો પ્રથમ કેશલેશ ડાયરો યોજાયો

સોમવાર, 12 ડિસેમ્બર 2016 (12:10 IST)
નોટબંધી બાદ સમગ્ર દેશમાં કેશલેસ વ્યવહારનો જોરશોરથી પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. ત્યારે ચેરિટિ માટે યોજાતા ડાયરા અને ભજન સંધ્યામાં સામાન્ય રીતે ગાયક કલાકાર પર પૈસા ઉડાવી દાન એકત્રિત થતું હોય છે. પરંતુ છેલ્લા ચાર વર્ષથી સ્નેહમિલન સમારોહ યોજતાં આવેલા બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર દ્વારા આર્મી વેલ્ફેર ફંડના લાભાર્થે આયોજિત ડાયરામાં પૈસા ઉડાડવાની પરંપરા પર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યો હતો. ધામદોડ રોડ પર નગર બીજેપી કાર્યાલયની સામેના મેદાન પર યોજાયેલા ડાયરામાં ગુજરાતના પ્રસિદ્ધ કલાકાર કિર્તીદાન ગઢવી અને ઊર્વશી રાદડીયાએ ભજનો અને લોકગીતોની રમઝટ બોલાવી હતી. લોકગીત-ભજનના ડાયરામાં સામાન્ય રીતે રૂપિયાની છોળો ઉડતી જોવા મળતી હોય છે. ત્યારે નોટબંધી વચ્ચે બારડોલીમાં દેશનો પ્રથમ કેશલેશ ડાયરો યોજાયો હતો. ડાયરાના ભજનકિંગ ગણાતા કિર્તિદાનના ડાયરામાં ચલણી નોટની જગ્યાએ ચેકની લ્હાણી થઈ હતી. આર્મી વેલ્ફેર ફંડના લાભાર્થે યોજાયેલા અનોખા કેશલેશ ડાયરાએ દેશભરમાં ચર્ચા જગાવી છે. નોટબંધી બાદ સરકાર કેશલેસ નાણાકીય વ્યવહારને પ્રોત્સાહન આપી રહી છે. 

વેબદુનિયા પર વાંચો