બંધથી જનજીવન અસ્તવ્યસ્ત અમદાવાદ સહિત ગુજરાત થંભ્યું

બુધવાર, 26 ઑગસ્ટ 2015 (15:18 IST)

ગઈ કાલે પાટીદારોની અનામત રેલી યોજાયા બાદ રાજ્યભરમાં ઠેર ઠેર થયેલી જૂથ અથડામણો, અગજની, પોલીસનો લાઠીચાર્જ વગેરેને પગલે આજે સવારથી જ અમદાવાદ સહિત રાજ્યભરનાં મુખ્ય શહેરોમાં સ્વયંભૂ કરફ્યુ જવો માહોલ સર્જાયો છે. પાટીદાર અનામત સંકલન સમિતિ દ્વારા આજે 'ગુજરાત બંધ'નું એલાન અપાયા બાદ રાજ્યની મુખ્ય ટ્રાન્સપોર્ટેશન સેવા એસટી અને એએમટીએસ, બીઆરટીએસ સહિતની સેવાઓ બંધ રહેતા અમદાવાદના કેટલાક વિસ્તારોમાં કરફ્યુને બાદ કરતા બાકીના વિસ્તારોમાં પણ સ્વયંભૂ કરફ્યુનો માહોલ છવાયેલો રહ્યો છે. તોફાન થવાની શક્યતાના ડરને પગલે લોકોએ સ્વયંભૂ આજે રજા રાખી છે. મોટા ભાગની ઓફિસો અને રાજ્યની તમામ શાળા-કોલેજો આજે બંધ રહ્યા છે.

અમદાવાદના પૂર્વ વિસ્તાર નિકોલ, બાપુનગર, સીટીએમ વગેરે વિસ્તારોમાં કરફ્યુ જાહેર કરાયો હોવા છતાં પથ્થરમારો અને છૂટાછવાયા આગના બનાવો ચાલુ રહેતા વધુ પોલીસ બોલાવવાની પડી હતી. શહેરમાં ફેલાયેલા અજંપાના પગલે ગાંધીનગર જતા તમામ રસ્તા પર સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે.
આજથી શરૂ થતા વિધાનસભા સત્રના પગલે ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. જોકે આજે દૂધના પાર્લર પર ખાસ ભીડ જોવા મળી નહોતી કે દૂધ, શાકભાજીની અછ ખાસ વર્તાઈ નહોતી.
આજે એસટી સેવા બંધ રહેતા ગાંધીનગરની સરકારી કચેરીઓમાં કામ કરી રહેલા કર્મચારીઓને ફરજિયાતપણે રજા રાખવાનો નિર્ણય લેવો પડ્યો છે. કેટલાક આજે વિધાનસભા સત્ર શરૂ થતું હોઈ જેમ તેમ કરીને ખાનગી વાહનો કે લિફ્ટ લઈને પહોંચ્યા હતા, પરંતુ સચિવાલયમાં અત્યંત પાંખી હાજરી વર્તાઈ રહી છે.

વેબદુનિયા પર વાંચો