અગરબત્તીની ફેક્ટરીમાં આગ લાગતા દસ કિલોમીટર વિસ્તારમાં સુગંધ રેલાઈ

શુક્રવાર, 12 સપ્ટેમ્બર 2014 (13:11 IST)
દેશની જાણીતી અને રાજકોટમાં આવેલી અગરબત્તીની કંપની જનક પરફ્યુમ્સમાં ગઈ કાલે શૉર્ટ-સર્કિટને કારણે લાગેલી આગમાં અગરબત્તીનું રૉ-મટીરિયલ, પરફ્યુમ્સ અને ૨૬ મશીન સળગી જતાં કંપનીને અંદાજે એક કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું, પણ આ આગને કારણે પરિસ્થિતિ એવી સર્જાઈ હતી કે ધુમાડા સાથે પરફ્યુમ્સ અને અગરબત્તીનો સ્ટૉક સળગી જતાં ફૅક્ટરીની આજુબાજુના દસ કિલોમીટર જેટલા વિસ્તારમાં સુગંધ રેલાઈ ગઈ હતી, જેની અસર છેક સાંજે સાત વાગ્યા સુધી રહી હતી. અચાનક હવામાં સુગંધ ભળી જતાં ગામડાના લોકોને તો જબરદસ્ત આશ્ચર્ય થયું હતું. કેટલાક અંધશ્રદ્ધાળુઓએ તો પોતાના ઘરમાં દીવાબત્તી પણ કરી લીધાં હતાં. જોકે મોડેથી સાચું કારણ સમજાયું હતું.

રાજકોટ-જામનગર રોડ પર આવેલા ખંઢેરી નામના ગામ પાસે આવેલી ફૅક્ટરીમાં સવારે સાત વાગ્યે આગ લાગી હતી. ફૅક્ટરીની શિફ્ટ નવ વાગ્યે શરૂ થતી હોવાથી કોઈ જાનહાનિ નહોતી થઈ.

વેબદુનિયા પર વાંચો