હું ગુજરાત પરિવર્તન પાર્ટી સાથે જ જોડાયેલો છું અને રહીશ: કેશુભાઈ

ગુરુવાર, 9 જાન્યુઆરી 2014 (17:19 IST)
P.R
ગુજરાત પરિવર્તન પાર્ટીના અધ્યક્ષ કેશુભાઈ પટેલ ભાજપમાં પુન: જોડાઈ રહ્યાની છેલ્લા કેટલાય સમયથી અટકળો ચાલી રહી હતી તથા કેશુભાઈ પણ પાર્ટીની બેઠકોમાં ગેરહાજર રહેતા હોવાના મુદ્દે કાર્યકર્તાઓમાં નારાજગી વ્યાપી હતી.

આ મુદ્દે આજે ગુજરાત પરિવર્તન પાર્ટીના અગ્રણીઓએ ગાંધીનગરમાં કેશુભાઈ પટેલ સાથે જ તેમના નિવાસસ્થાને બેઠક યોજી હતી. જેમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હું ગુજરાત પરિવર્તન પાર્ટી સાથે જ જોડાયેલો છું અને રહીશ અને આગામી ચૂંટણીમાં માર્ગદર્શક બનીને જ કામ કરીશ. કેશુભાઈ પટેલે આપેલી હૈયાધારણ બાદ ગુજરાત પરિવર્તન પાર્ટીની કારોબારીની બેઠક આગામી તા. ૨૫મી જાન્યુઆરીના રોજ બોલાવવામાં આવી છે. આ બેઠકમાં પાર્ટીના માળખાની પુન:રચના કરવામાં આવશે.

ગુજરાત પરિવર્તન પાર્ટીના અગ્રણી ગોરધનભાઈ ઝડફિયાએ જણાવ્યું હતું કે, આજે ગાંધીનગરમાં કેશુભાઈ પટેલના બંગલે જ તેમની સાથે પાર્ટીના પદાધિકારીઓની બેઠક મળી હતી. જેમાં કેશુભાઈ પટેલે જીપીપીની સાથે જ છે અને રહેવાના છે તેવી હૈયાધારણા આપી હતી.

વેબદુનિયા પર વાંચો