ગુજરાતને પર્યટન ક્ષેત્રમાં વધુ એક પુરસ્‍કાર

મંગળવાર, 26 માર્ચ 2013 (14:00 IST)
P.R
ગુજરાતને સાંસ્‍કૃતિક ઉત્‍સવ માટે શ્રેષ્‍ઠ સ્‍થળ તરીકે પસંદ કરવામાં આવ્‍યું છે. ઇન્‍ટરનેશનલ કાઉન્‍સિલ ઓફ પેસિફિક એરિયા ટ્રાવેલ રાઇટર્સ એસોસિએશને (પટવા) હાલમાં જ ગુજરાતને આ પુરસ્‍કાર આપ્‍યો છે. જર્મનીના બર્લિનમાં આયોજિત વાર્ષિક આઇટીબી કન્‍વેન્‍શનમાં આ પુરસ્‍કાર યૂએનડબ્‍લ્‍યૂટીઓના કારોબારી નિર્દેશક ફ્રેડ્રિક પિયરેટે દુનિયાભરથી આવેલા રાજદુત, પ્રોફેશનલો અને પર્યટ મંત્રીઓની ઉપસ્‍થિતિમાં આપ્‍યો.

પટવા વિશ્વના સૌથી મોટા ટ્રાવેલ ફેર આઇટીબી બર્લિનમાં દર વર્ષે આંતરરાષ્‍ટ્રીય પુરસ્‍કારનું આયોજન કરે છે. જેમાં ૧૮૦ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો. આ પુરસ્‍કાર પર્યટનને પ્રોત્‍સાહન આપવા માટે એનાયત કરવામાં આવે છે. પટવા વિશ્વના સૌથી મોટા ટ્રાવેલ લેખકોની સંસ્‍થા છે. જેની સાથે દુનિયાના ૭૦ દેશોના સભ્‍યો જોડાયેલા છે. ગુજરાતને ગયા વર્ષે પણ પર્યટન માટે ઉભરતા રાજ્‍યનો પુરસ્‍કાર મળ્‍યો હતો.

વેબદુનિયા પર વાંચો