. નરેન્દ્ર મોદી આજે ગુજરાતના મુખ્યમંત્રી પદ અને રાજ્ય વિધાનસભાના સભ્ય પદ પરથી રાજીનામુ આપશે. મોદી ૧૨ વર્ષ, ૭ મહિના, ૧૫ દિવસ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા.
નવા પ્રધાનમંત્રીના રૂપમાં શપથગ્રહણ કરવા જઈ રહેલા નરેન્દ્ર મોદીનુ મંગળવારે સાંજે તેમના વિધાનસભા ક્ષેત્ર મણિનગરમાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યુ. આ દરમિયાન મોદીએ કહ્યુ કે પહેલીવાર કોઈ એમએલએને આ રીતે વિદાય મળી છે. સામાન્ય રીતે લોકો એમએલએને ચૂંટણીમાં હરાવીને વિદાય આપે છે. તેમણે પોતાના ભાષણમાં કહ્યુ કે તમે મત ગુજરાત સરકાર બનાવવા માટે આપતા હતા પણ નારા પીએમના બોલવાતા હતા. આખરે જનતા જનાર્દનનો અવાજ ફાઈનલ થયો. જનતા જનાર્દનમાં આપણું કંઈ ચાલે નહી હવે મણીનગરના લોકો છાતી ફુલાવીને કહેશે કે, એ તો તમારા માટે પીએમ અમારા માટે તો અહિ કાંકરિયામાં આંટા મારતા, દક્ષિણી સોસાયટીમાં જમવા આવતા અને જવાહર ચોકમાં ચા પીતા નરેન્દ્ર મોદી છે. બહુ વહાલું વહાલું લાગે કે ના લાગે?
તેમણે ખુદને સતત ત્રણ વાર આ ક્ષેત્રમાંથી જીતાડવા માટે મણીનગરના લોકોનો આભાર માનતા કહ્યુ કે મણીનગરે મને જે પ્રેમ આપ્યો છે એ પ્રેમ ને હું ક્યારેય વિસરી નહી શકુ, મારા મનમાં મણીનગર અને પૂર્વ અમદાવાદના વિકાસ માટેના ઘણાં સપના સાકાર કરવા માંગતા હતા. હું ભલે અહીંથી જાઉં પણ આપના સપના સાકાર થશે તેવો હું વિશ્વાસ આપુ છું. તેમણે કહ્યુ કે તમે 2012 વિધાનસભા ચૂંટણી દરમિયાન મને પીએમ કહીને બોલાવતા હતા આજે તમારા આશીર્વાદનુ પરિણામ જ છે કે હુ અહી સુધી પહોંચી ગયો. લોકોને સંબોધિત કરતા મોદીએ પોતાના નિકટના અને યૂપીમાં બીજેપીની જીતના સૂત્રધાર રહેલ અમિત શાહના ખૂબ જ વખાણ કર્યા.