ગુજરાત સરકારને પાટીદારોના અનામત પછી જ સમાધાનના વલણ સામે ઘૂંટણીએ પડવું પડ્યું છે. આજે ગાંધીનગર ખાતે મળેલી ભાજપનો કોર કમિટીની મીટિંગમાં સવર્ણ વર્ગના બિન અનામત વર્ગના લોકો માટે 10 ટકા આર્થિક અનામતની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે પહેલી મેએ ગુજરાત સ્થાપના દિવસે વટહુકમ બહાર પાડવામાં આવશે. છ લાખ સુધીની આવક મર્યાદાવાળા પરિવારોને જ આ અનામતનો લાભ મળશે.
છેલ્લા ઘણા સમયથી પાટીદારો અને સરકાર વચ્ચે વાટાઘાટો ચાલી રહી હતી, પરંતુ પાટીદારોએ પહેલા જેલમાં બંધ યુવાનોની મુક્તિની માગ કરી હતી. આ પછી સરકારે કૂણુ વલણ અપનાવી રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ પાટીદારોની જામીન અરજીનો વિરોધ ન કરતાં ગઈ કાલે સુરત સેશન્સ કોર્ટે વિપુલ દેસાઇ અને ચિરાગ પટેલને જામીન આપ્યા હતા, જ્યારે હાઈકોર્ટે કેતન પટેલ, ચિરાગ પટેલ અને દિનેશ બાંભણીયાને પણ જામીન આપ્યા હતા. જેને કારણે હવે પાટીદારો અને સરકાર વચ્ચે સમાધાન થાય, તેવું વાતાવરણ બન્યું હતું. ત્યારે આજે સરકારે સવર્ણો માટે દસ ટકા અનામતની જાહેરાત કરી છે, જેને કારણે પાટીદાર આંદોલનનો અંત આવે, તેવું લાગી રહ્યું છે.