આતંકવાદ અને મુસલમાનો અલગ છે

ભાષા

શુક્રવાર, 22 ઑગસ્ટ 2008 (17:17 IST)
દિલ્હીનાં જામા મસ્જિદનાં ઈમામ બુખારીથી તદ્દન વિપરીત જયપુરનાં એક ઈસ્લામી સંસ્થાનાં વડાએ જણાવ્યું હતું કે બોમ્બ વિસ્ફોટમાં સામેલ લોકોને કડકમાં કડક સજા કરવામાં આવે. પણ પોલીસ બેગુનાહ મુસલમાનોને હેરાન કરે છે. જે વાજબી નથી.

અમદાવાદ સીરીયલ બ્લાસ્ટ કેસમાં ઉત્તરપ્રદેશનાં મૌલવી બશરની ધરપકડ કરીને તેના રીમાન્ડ ચાલી રહ્યાં છે. અને, તેણે લગભગ કબુલી લીધું છે કે બોમ્બ ધડાકા તેણે અને સિમીએ કરાવ્યાં હતાં. તેમછતાં દિલ્હીનાં જાણીતા શાહી ઈમામે એવું નિવેદન આપ્યું કે હું બશરનાં માતા પિતાને મળી આવ્યો છું. તે નિર્દોષ છે. અને તેને મુક્ત કરવામાં નહિ આવે તો દેશવ્યાપી આંદોલન ચલાવવામાં આવશે.

આ પ્રતિક્રિયાથી વિરૂધ્ધ જયપુરનાં મુસ્લિમ સમાજનાં સૈયદ મુજાહીદ અલી પરવીન ખાન સહિત અન્ય અગ્રણીઓએ પત્રકારોને જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાંક મહિનાઓમાં થયેલા બ્લાસ્ટ અમે વખોડી રહ્યાં છીએ. તેમજ બ્લાસ્ટમાં માર્યા ગયેલા નિર્દોષ લોકોનાં પરિવારજનો સાથે અમારી સંવેદના છે. ઈસ્લામ ધર્મમાં નિર્દોષ લોકોની હત્યા કરવાનો ક્યાંય ઉલ્લેખ નથી. તેમજ આ બ્લાસ્ટમાં સંડોવાયેલા ગુનેગારો મુસ્લિમ સમાજનાં છે. જે અમારૂ દુર્ભાગ્ય છે. પણ તેમની સાથે આખો મુસ્લિમ સમાજ જોડાયેલો નથી.

તેમછતાં પોલીસ મુસ્લિમ સમાજને આતંકવાદીઓ સાથે જોડી રહ્યો છે. પણ આતંકવાદી ઘટનાઓ અને ઈસ્લામને ક્યાંય સંબંધ નથી. તેમણે પોલીસ અને મીડિયાને અપીલ કરી હતી કે ઘટનામાં જવાબદાર લોકોને કડક સજા કરવામાં આવે પણ નિર્દોષ લોકોને હેરાન કરવામાં ન આવે.

વેબદુનિયા પર વાંચો