પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં 23 પ્રવાસીઓને બસમાંથી ઉતારીને ગોળી મારી

સોમવાર, 26 ઑગસ્ટ 2024 (12:37 IST)
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં બંદૂકધારીઓએ બસમાંથી નીચે ઉતારીને 23 પ્રવાસીઓને ગોળી મારીને હત્યા કરી દીધી. આ બધા જ પ્રવાસીઓ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના હતા.
 
આ ઘટના બલૂચિસ્તાનના મુસાખેલ જિલ્લામાં ઘટી હતી.
 
આસિસ્ટન્ટ કમિશનર મૂસા ખેલ નજીબે ઘટનાની પુષ્ટિ કરી અને બીબીસી ઉર્દૂને જણાવ્યું, "ઘટના જિલ્લાની રારા હાશિમ વિસ્તારમાં ઘટી છે. ગોળીબારની ઘટના ગઈ રાત્રે પોલીસના નિયંત્રણવાળા વિસ્તારમાં ઘટી હતી."
 
જાણકારી મુજબ, કેટલાક અજાણ્યા લોકોએ પંજાબ અને બલૂચિસ્તાન વચ્ચે ચાલતી બસો અને ટ્રકોને રોક્યાં. ત્યારબાદ પ્રવાસીઓને નીચે ઉતાર્યા અને તેમના ઓળખપત્રોની તપાસ કરી અને જે લોકો બલોચ ન હતા તેમના પર ગોળીઓ ચલાવી.
 
ચરમપંથી સંગઠન બલૂચ લિબરેશન આર્મીએ આ હુમલાની જવાબદારી લીધી. સંગઠને કહ્યું કે તેને અલગ-અલગ વિસ્તારોમાં એ રસ્તાઓ બ્લૉક કરી દીધા છે જ્યાંથી પ્રાંતમાં પ્રવેશ કરી શકાય.
 
સમાચાર આવ્યાં કે બલૂચિસ્તાનના અલગ-અલગ વિસ્તારોમાં હાઈવે પર હથિયારીધારી લોકોની હાજરીને કારણે ટ્રાફિક રોકી દેવામાં આવ્યો.
 
જે પ્રવાસીઓને મારવામાં આવ્યા તે પંજાબથી બલૂચિસ્તાન આવી રહ્યા હતા.
 
સરકારી અધિકારીઓની માહિતી પ્રમાણે, હથિયારધારીઓએ કેટલાંક વાહનોને આગ ચાંપી દીધી. બલૂચ લિબરેશન આર્મીએ છેલ્લા 24 કલાકમાં કેટલીક સરકારી ઇમારતોને પણ નુકસાન પહોંચાડ્યું છે.
 
આસિસ્ટન્ટ કમિશનરે જણાવ્યું કે ગોળીબારની ઘટનામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે, જે પૈકી એકની સ્થિતિ ગંભીર છે.
 
સતત હુમલા થઈ રહ્યા છે
 
આ પહેલાં શનિવાર અને રવિવાર વચ્ચેની રાત્રે બલૂચિસ્તાનના અલગ-અલગ વિસ્તારોમાં બૉમ્બ ઘડાકાના સમાચાર આવ્યા.
 
કલાત શહેરની પાસે થયેલા હુમલામાં ત્યાંના આસિસ્ટન્ટ કમિશનર પણ ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે જિઉનીમાં પોલીસ સ્ટેશનની બહાર ત્રણ વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.
 
મસ્તુંગ જિલ્લામાં પણ અજાણ્યા હથિયારધારી લોકોએ ખાદ કોચા વિસ્તારમાં એક પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો.
 
બલૂચિસ્તાનના મુખ્ય મંત્રીએ હાલની ઘટનાઓ પર એક રિપોર્ટ માગ્યો હતો. મુખ્ય મંત્રી મીર સરફરાજ બુગતીએ આ ઘટનાની ટીકા કરી હતી. તેમણે ઇમરજન્સી બેઠક પણ બોલાવી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર