સુરતમાં વાવાઝોડાએ વેરેલા વિનાશમાં ખેતીવાડી વિભાગની 41 ટીમોએ સરવેની કામગીરી પુરી કરી

સોમવાર, 24 મે 2021 (16:53 IST)
‘તાઉ-તે’ વાવાઝોડાએ મચાવેલી તબાહીના કારણે સૌથી વધુ નુકસાન ઉનાળું વાવેતર કરતા ખેડુતોને થયું છે. જેથી સુરત જિલ્લાના ખેતીવાડી અધિકારી તથા નાયબ બાગાયત નિયામકના માર્ગદર્શન હેઠળ ખેડુતોને યોગ્ય સહાય સત્વેર મળી રહે તે માટે જિલ્લામાં 41 ટીમો બનાવીને તાબડતોડ પાંચ દિવસમાં નુકશાનનો સર્વેની કામગીરી પુર્ણ કરવામાં આવી છે.         
 
             જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એન.જી.ગામીત જણાવ્યું કે, સુરત જિલ્લામાં ડાંગર, કેળ, પપૈયા, મગ, તલ, આંબા અને શાકભાજીના પાકોમાં થયેલા નુકશાન સંદર્ભે 15244 હેકટર અસરગ્રસ્ત વાવેતર વિસ્તારની સર્વેની કામગીરી પુર્ણ કરવામાં આવી હતી. જિલ્લાના સુરત સીટી તાલુકા સહિત 10 તાલુકાઓના 757 ગામોમાં 33 ટકા લેખે 5826 હેકટર વિસ્તારમાં નુકશાન થયું છે. જે પૈકી  4185 ખેતીવાડી તથા 1641 હેકટર બાગાયતી વિસ્તાર મળી 5826હેકટર વિસ્તારમાં 33 ટકા લેખે નુકશાનગ્રસ્ત થયા છે. 
 
 સમગ્ર જિલ્લાની 33 ટકાથી વધુ નુકશાનગ્રસ્ત હેકટર વિસ્તારની વિગતો જોઈએ તો બારડોલી તાલુકામાં 86 ગામોના 404 ખેડુતોની 279 હેકટર, ચોર્યાસીમાં 29 ગામોના 289 ખેડુતોની 298 હેકટર વિસ્તાર, કામરેજ તાલુકાના 59 ગામોના 1167 ખેડુતોની 757 હેકટર, મહુવા તાલુકામાં 69 ગામોની 762 ખેડુતોની 405 હેકટર, માંડવી તાલુકામાં 133 ગામોના 768 ખેડુતોની 408 હેકટર, માંગરોળના 92 ગામોની 550 ખેડુતોની  489 હેકટર, ઓલપાડ તાલુકાની 99 ગામોના  2819ખેડુતોની  2764 હેકટર, પલસાણાના 46 ગામોના 200 ખેડુતોની 244 હેકટર, ઉમરપાડા તાલુકાના 63 ગામોના ચાર ખેડુતોની 2.2 હેકટર તથા સુરત સીટી વિસ્તારમાં 81 ગામોના 180 ખેડુતોની 177 હેકટર જેટલા વિસ્તારોમાં નુકશાન થયું છે. 
 
 જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એન.જી.ગામીતે વધુમાં 33 ટકા લેખે નુકશાનગ્રસ્ત ખેતીપાકોની માહિતી આપણા જણાવ્યું કે, 3375 હેકટર ડાંગર, ૪૨૫ હેકટર મગ, 338 હેકટર તલ, 31 હેકટર મગફળી, પાંચ હેકટર અડદ, એક હેકટર જુવાર, ચાર હેકટર બાજરી અને મકાઈના પાકોમાં નુકશાન થયું છે.
 
        નાયબ બાગાયત નિયામકશ્રી ડી.કે.પડાલીયાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કેળ, પપૈયા, શાકભાજી અને આંબાના 7031 અસરગ્રસ્ત વિસ્તારોમાં 33 ટકા લેખે 1641 હેકટર વિસ્તારના 1779 ખેડુતોને નુકશાન થયું છે. વિગતે જોઈએ તો, કેળમાં 779 હેકટર, પપૈયામાં 29.70 હેકટર, શાકભાજીમાં 420 હેકટર, આંબામાં 411હેકટર વિસ્તારમાં નુકશાનગ્રસ્ત થયા છે. ખેડુતોને સત્વરે વળતર મળી રહે તે માટે બાગાયત વિભાગની ટીમો બનાવીને પાંચ દિવસના ટુંકાગાળામાં નુકશાનીના સર્વેની કામગીરી યુધ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર