Gujarat Budget Live - કોંગ્રેસનો વોકઆઉટ: 30,000 નવી સરકારી નોકરીઓ ઊભી કરાશે

મંગળવાર, 20 ફેબ્રુઆરી 2018 (15:00 IST)
બજેટ સ્પીચ દરમિયાન નાણા મંત્રી નીતિનભાઈ પટેલે વિધાનસભામાં ખેડૂતો અને પાણીના મુદ્દે બોલવાનું શરૂ કરતાં જ કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસે ખેડૂતોના પ્રશ્ને ચર્ચા કરવાની માગણી કરી હતી. જોકે અધ્યક્ષે તમામને તક આપવાની ખાતરી આપી હોવા છતાં કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના સૌરાષ્ટ્રના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ ગૃહમાં મગફળી ઉછાળી હતી. જ્યારે કોંગ્રેસના અન્ય સભ્યોએ ‘નર્મદાનું પાણી પી ગયા રૂપાણી’ જેવા સૂત્રોચ્ચાર કરીને વોકઆઉટ કર્યો હતો. કોંગ્રેસના સભ્યોએ ખેડૂતોને સિંચાઈના પાણીની તંગી અને મગફળીના ટેકાના ભાવ પર્યાપ્ત નહીં મળતા હોવાનો અને ટેકાના ભાવે ખરીદીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો દાવો કર્યો હતો. અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયાને ગૃહમાંથી દૂર કરવાનો આદેશ આપ્યો હતો.

ઉશ્કેરાયેલા કોંગ્રેસના સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. કોગ્રેસે ગૃહની બહાર પણ સૂત્રોચ્ચાર કરીને પાણીની તંગીનો અનુભવ કરતાં ખેડૂતોની માગણીનો પડઘો પાડવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો. નીતિનભાઈએ દાવો કર્યો હતો કે ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય મગફળીના ટેકાના ભાવ ખેડૂતોને આપવામાં આવ્યા નથી. પરંતુ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પહેલીવાર કેન્દ્રમાં ભાજપની સરકાર આવી ત્યારે ખેડૂતોને ટેકાના ભાવ આપવામાં આવ્યા છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે નર્મદા યોજના ભાજપે પૂરી કરી છે. કોંગ્રેસ પાસે પ્રજાને કહેવા માટે કશું જ નહીં, માટે જ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને પ્રજાએ જાકારો આપ્યો છે. કોંગ્રેસના વોકઆઉટ બાદ નાણા મંત્રી નીતિનભાઈ પટેલે પુન: બજેટ સ્પીચ શરૂ કરી હતી
- રાજ્યની નાણાકીય શિસ્ત 
- રાજકોષીય ખાધ ૧૫-૧૬માં ૨.૨૪ ટકા હતી તે ઘટીને ૧૬-૧૭માં ૧૬-૧૭ ૧.૪૨ ટકા રહેવા પામી
- બહારથી નાણા ઊભા કરવા પડે છે તેના કરતાં ઓછા નાણા લેવા પડ્યા છે.
- વધુમાં વધુ ત્રણ ટકા સુધી રાજકોષીય ખાધ લઈ જઈ શકાય છે, દેશના અન્ય રાજ્યો તેનાથી પણ ઉપર જાય છે, જ્યારે ગુજરાતનું નાણાકીય શિસ્ત કાબિલ-એ-તારિફ છે: નીતિનભાઈ
- વેરાકીય આવકમાં આ વર્ષે ૨૦.૯૨ ટકાનો વધારો થયો છે
- રાજ્યની ઉત્પાદન ક્ષમતા ૧૩ ટકા વધી છે
રાજ્યના બજેટનું કદ:
ગત વર્ષે બજેટનું કદ ૧૭૨૦૭૯ કરોડ
આ વર્ષે એટલે કે ૨૦૧૮-૧૯નું બજેટ કદ ૧૮૩૬૬૬ કરોડ રહેશે
- રોજગારી માટે ૮૭૫ કરોડની જોવાઈ
 

કૃષિ અને ખેડૂતો માટે:
- કૃષિ ક્ષેત્ર માટે ૬૭૫૫ કરોડની જોગવાઈ
- 2022 સુધીમાં કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા ૩૦ લાખ ટન સુધી પહોંચાડાશે ૫૦ કરોડની જોગવાઈ
- નવા ચાર ઇ-રેડિયેશન પ્લાન્ટ ગુજરાતમાં ઊભા કરાશે, જે શાકભાજી ફળોની શેલ્ફ લાઇફ વધારે
- ઇઝરાયેલની સહાયથી નવા ચાર સેન્ટર ઓફ એક્સલેન્સ બનાવાશે
- ૨૦૦૦ ખેડૂતોને મધ ઉત્પાદનમાં જોડાવામાં આવશે
- કૃષિ યુનિવર્સિટીઓના વિકાસ માટે ૭૦૨ કરોડ ફાળવાશે
- ખેડૂતોને પાકના રક્ષણ માટે કાંટાળા તારની વાડ બનાવવા માટે ૨૦૦ કરોડની સબસિડી આપવાની જોગવાઈ
- પાંચ હજાર પશુ ફાર્મ માટે ૧૪૦ કરોડની જોગવાઈ
 
રોજગારી
- નવા બજેટમાં ૭૮૫ કરોડ રૂપિયાની જોગવાઈ બજેટમાં પહેલીવાર, તેનાથી સાડા ત્રણ લાખ યુવાનોને રોજગારીની તકો મળશે, ચાર લાખ યુવાનો રોજગારી ભરતી મેળાના માધ્યમથી ખાનગી એકમોમાં રોજગારી પૂરી પડશે
- તમામ કંપનીમાં અઢી ટકા એપ્રેન્ટિસ તરીકે જોડાનારા યુવાનોને કેન્દ્રના ૧૫૦૦ રૂપિયા અને ગુજરાત સરકાર સ્નાતકને ૩૦૦૦ આપશે, ડિપ્લોમા ધારકને ૨૦૦૦ અને ઓછું ભણેલાને ૧૫૦૦ અપાશે: કુલ જોગવાઈ ૨૭૨ કરોડ, આ યોજના હેઠળ એક લાખ યુવાનોને સહાય અપાશે
- ૧૨ દૂધાળા પશુ રાખી ફાર્મની સ્થાપના કરવી હોય તો એક ફાર્મ દીઠ ત્રણ લાખ રૂપિયા સરકાર સહાય કરશે, આ વર્ષે પાંચ હજાર ફાર્મ બને તેવી અપેક્ષા: ૧૪૦ કરોડની જોગવાઈ, આ યોજનાથી ૨૫,૦૦૦ યુવાનોને રોજગારી અપાશે
- મુખ્યમંત્રી ગ્રામોદય યોજના: સ્થાનિક સ્કિલ્ડ યોજના હેઠળ છ ટકા વ્યાજ સબસિટી સરકાર આપશે, મહિલા, SC-ST અને દિવ્યાંગને વધારાની બે ટકા વ્યાજ સહાય અપાશે, તેનાથી ૫૦,૦૦૦ લોકોનો રોજગારી
- ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી યુવતીને પગાર સિવાય મહિને ચાર હજાર રૂપિયા સરકાર આપશે, પાંચ વર્ષ સુધી આ સહાય મળશે
- ૩૦,૦૦૦ સરકારી નોકરીઓ ઊભી કરાશે
 
શિક્ષણ
- ૨૫,૦૦૦ કરોડની જગ્યાએ આ વર્ષે ૨૭,૫૦૦ કરોડની જોગવાઈ
- ૧૨મું ધોરણ પાસ કરનારને ગત વર્ષે ત્રણ લાખ ટેબલેટ આપ્યા, આ વર્ષે પણ નવા ત્રણ લાખ વિદ્યાર્થીને એક હજાર રૂપિયાની કિંમતે ટેબલેટ અપાશે
- સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોની ફી નિયંત્રિત કરવાનો દેશમાં પહેલો કાયદો ગુજરાત સરકાર લાવી છે
- રાઇટ ટુ એજ્યુકેશન માટે ફી ગુજરાત સરકાર ચૂકવે છે, તેના માટે ૧૦૮૧ કરોડ
- નવા વર્ગ ખંડો ૬૭૩ કરોડ, હોસ્ટેલ-નિવાસી શાળા માટે ૬૯ કરોડ
- ભણતાં આદિવાસી વિદ્યાર્થીઓના માતા-પિતાને ૬૮ કરોડનું અનાજ
- ૧૫ કરોડના પુસ્તકો મફત અપાશે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર