વધુ એક ઈંટરનેશનલ ફ્લાઈટમાં બોમ્બની ધમકીથી હડકંપ, જયપુર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ

શનિવાર, 19 ઑક્ટોબર 2024 (09:58 IST)
વિમાનો પર બોમ્બની ધમકીઓનો સિલસિલો અટક્યો નથી. બોમ્બની ધમકી મળ્યા બાદ અન્ય એક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ નંબર IX-196માં બોમ્બ હોવાની ધમકી મળી હતી. આ પ્લેન દુબઈથી જયપુર આવી રહ્યું હતું. બપોરે 12.45 કલાકે બોમ્બની ધમકી મળ્યા બાદ ગભરાટ ફેલાયો હતો.
 
જયપુર એરપોર્ટ પર સવારે 1.20 વાગ્યે પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ વિમાનમાં કુલ 189 મુસાફરો સવાર હતા. લેન્ડિંગ બાદ સુરક્ષા દળોએ આખા પ્લેનની તપાસ કરી હતી. પરંતુ તપાસમાં કશું જ શંકાસ્પદ મળ્યું ન હતું.
 
વિસ્તારાની ફ્લાઈટમાં પણ બોમ્બની ધમકી
અગાઉ દિલ્હીથી લંડન જઈ રહેલા વિસ્તારા વિમાનમાં બોમ્બની ધમકી મળ્યા બાદ તેને ફ્રેન્કફર્ટ તરફ વાળવામાં આવ્યું હતું. એરક્રાફ્ટ ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું. મળતી માહિતી મુજબ, 18 ઓક્ટોબરે દિલ્હીથી લંડન જઈ રહેલી વિસ્તારાની ફ્લાઈટ નંબર 'UK17'ને સોશિયલ મીડિયા પર સુરક્ષા માટે ખતરો મળ્યો હતો. પ્રોટોકોલને અનુસરીને, તમામ સંબંધિત અધિકારીઓને તરત જ આ વિશે જાણ કરવામાં આવી હતી અને પાઇલટે સાવચેતીના પગલા તરીકે ફ્લાઇટને ડાયવર્ટ કરી હતી.
 
છેલ્લા કેટલાક દિવસોમાં, ભારતીય એરલાઇન્સ દ્વારા સંચાલિત લગભગ 40 ફ્લાઇટ્સ પર બોમ્બની ધમકીઓ મળી હતી, જો કે તે તમામ પાછળથી ખોટી સાબિત થઈ હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલય એરલાઇન્સ દ્વારા અપરાધીઓને 'નો-ફ્લાય' લિસ્ટમાં મૂકવામાં આવતા બોમ્બની ખોટી ધમકીઓની ઘટનાઓને રોકવા માટે કડક નિયમો લાગુ કરવાની યોજના બનાવી રહી છે. આ સૂચિનો હેતુ બેકાબૂ મુસાફરોને ઓળખવાનો અને તેમને વિમાનમાં ચઢવા પર પ્રતિબંધ મૂકવાનો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર