દિવાળીની રજાઓ માણવા છેલ્લી ઘડીએ જાગનારાઓએ મોટી ‘કિંમત' ચૂકવવી પડશે
શુક્રવાર, 10 ઑક્ટોબર 2014 (15:46 IST)
વિશ્વ પ્રવાસીની ઓળખ મેળવી ચૂકેલાં ગુજરાતીઓ સામાન્ય રીતે વેકેશનમાં ફરવા જવા માટે આગોતરું આયોજન કરીને રેલવે કે ટ્રાવેલ્સનું બુકિંગ કરાવે છે પરંતુ આ દિવાળીની રજાઓમાં છેક છેલ્લી ઘડીએ પરિવાર સાથે મુંબઈ, પુના, લોનાવાલા કે ખંડાલા જવાનું પ્લાનિંગ કરનારા ગુજ્જુઓને રેલવેમાં તો જગ્યા મળશે નહીં પરંતુ ટ્રાવેલ્સની મુસાફરી માટે પણ બેથી અઢી ગણું ભાડું ચૂકવવું પડશે. બીજા શબ્દોમાં કહીએ તો છેલ્લી ઘડીએ જાગનારા પ્રવાસીઓએ મોટી ‘કિંમત' ચૂકવવી પડશે. હાલમાં અમદાવાદથી ઉપરોક્ત પર્યટન સ્થળોએ જવા
માટે ટ્રાવેલ્સમાં (એ.સી., નોન એ.સી., સિટીંગ અને સ્લીપીંગ માટે) ટિકિટના દર સરેરાશ રૂ. ૩૫૦થી બે હજાર રૂપિયા છે પરંતુ દિવાળી અને ત્યારપછીના ચાર દિવસ સુધી પ્રવાસીઓને આ જ સ્થળો માટે રૂ. ૯૦૦થી રૂ. ૩૫૦૦ સુધીનું ભાડું ચૂકવવું પડશે.
દિવાળી અને ઉનાળુ વેકેશનમાં ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ પરિવાર સાથે કાશ્મીર, વૈષ્ણોદેવી અને હિમાચલ પ્રદેશ, દક્ષિણ ભારતના પ્રવાસે જાય છે પરંતુ આ વર્ષે કાશ્મીરમાં આવેલાં ભારે પૂરને કારણે મોટાભાગના બુકિંગ રદ થયા છે તેથી અન્ય પર્યટન સ્થળો પર ધસારો વધ્યો છે. મધ્યમ વર્ગના પરિવારો મોંઘવારીમાં દૂરના પર્યટન સ્થળોને બદલે મુંબઈ અને ત્યાંથી પુના, લોનાવાલા અને ખંડાલા જેવા સ્થળોએ જઈને વેકેશનની મજા માણે છે પરંતુ છેલ્લી ઘડીએ મુંબઈ, લોનાવાલા, ખંડાલા કે પુના જવાનું આ વર્ષે મોંદ્યુ પૂરવાર થાય તેવી સ્થિતિ છે.
વેકેશન કે દિવાળીના સમયે જ ભાડામાં બેથી વધુગણા વધારા માટે ટ્રાવેલ્સના સંચાલકો માગ અને પૂરવઠાનો નિયમ આગળ ધરતાં કહે છે કે, સિઝન સિવાયના દિવસોમાં દોડતી બસ ખોટમાં ચાલે છે! તેમના કહેવા મુજબ અમદાવાદ-મુંબઈ-અમદાવાદનો ૧૧૦૦ કિ.મી.નો એક ફેરો વોલ્વો બસને રૂ. ૩૫ હજારમાં અને સાદી બસને રૂ. ૨૨ હજારમાં પડે છે. જેમાં સરકારી ટેક્સ, ટોલટેક્સ અને ડિઝલના ખર્ચ ઉપરાંત પરચૂરણ ખર્ચનો સમાવેશ થાય છે. ઓફ સિઝનમાં બસ ઊભી રાખવી કોઈને પોસાય નહીં તેથી દસથી પંદર મુસાફરો લઈને નુકસાન વેઠીને પણ બસ દોડાવવી પડે છે. સિઝનમાં મુસાફરોનો ધસારો રહે ત્યારે આ નુકસાનનું વળતર સરભર થઈ જાય છે. એ ઉપરાંત સિઝનમાં મુસાફરોનો ધસારો પણ સારો એવો હોવાથી પ્રાઇવેટ ટ્રાવેલ્સ ઓપરેટર્સના ભાડાં આસમાનને આંબે છે.
દિવાળીના તહેવારોમાં ગુજરાતમાં જ ગીર અભયારણ્યની સાથે નજીકમાં આવેલા ધાર્મિક સ્થળોની સાથે બેથી ચાર દિવસનું વેકેશન માણવા માગતા પરિવારો સૌરાષ્ટ્રમાં ગીરની પસંદગી કરે છે. ગીરના પ્રખ્યાત એશિયાટીક સિંહના આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રચાર-પ્રસારને કારણે અન્ય રાજયોના પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે ત્યારે આ વર્ષે દિવાળીના દિવસોમાં ગીરમાં પણ ચક્કાજામ સર્જાશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેક પરિવારોએ પ્રસિદ્ધ અને પ્રથમ જયોતિર્લિંગ સોમનાથથી પ્રવાસ શરૂ કરીને દીવ, ગીર, તુલસીશ્યામ સહિતના પ્રવાસનું આયોજન કર્યું હોવાનું ટુર ઓપરેટરો જણાવી રહ્યા છે.