અમુક ટ્રેનો બાદ કરતા લાંબા રૂટની ટ્રેનો પ્રર્વવત્ શરૂ થઈ

શુક્રવાર, 28 ઑગસ્ટ 2015 (16:01 IST)
પાટીદાર અનામત આંદોલનના પગલે ફાટી નીકળેલાં તોફાનોના કારણે રાણીપ, ચાંદલોડિયા અન્ય સ્થળોએ પાટા ઊખડી જવાના પગલે અમદાવાદથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફનો રેલ વ્યવહાર બંધ થયો હતો જ્યારે કેટલીક ટ્રેનો ડાઇવર્ટ કરાઈ હતી તો કેટલીક ટ્રેનો અમદાવાદ સુધી અટકાવાઈ હતી. આજથી રેલ વ્યવહાર રેલવેતંત્રના ઝડપી સમારકામ બાદ શરૂ થઈ ચૂક્યો છે. ઉત્તર ગુજરાત તરફથી પેસેન્જર ડેમુ ૨ ટ્રેન અને બે એક્સપ્રેસ ટ્રેનને બાદ કરતાં લાંબા રૂટની તમામ ટ્રેનો પ્રર્વવત્ શરૂ થઈ ચૂકી છે જ્યારે બાન્દ્રા-ભાવનગરની આવતી અને જતી બંને ટ્રેનોને ભાવનગરના બદલે અમદાવાદ ખાતે અટકાવી દેવાશે.

રાજ્યભરમાં પાટીદાર આંદોલનને પગલે શરૂ થયેલા તોફાનોમાં એસ.ટી. કેટલીક બસોને આગ ચાંપી દેવાના બનાવો બાદ એસ.ટી. વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. ગઈ કાલે પરિસ્થિતિ અનુસાર લોકલ બસો દોડાવવાનું શરૂ કરાયું હતું. પરંતુ શાંતિનો માહોલ આજે જળવાઈ રહેતાં પુનઃ તમામ ઝોન, તમામ ડેપોની બસો, એક્સપ્રેસ બસો અને વોલ્વો બસ આજે નિયમિતપણે શરૂ કરી દેવાની સૂચના અપાઈ હોવાનું નિગમના સચિવ એ.ડી.દેસાઈએ જણાવ્યું હતું. માત્ર કરફયુગ્રસ્ત વિસ્તારોમાંથી ગાંધીનગરની સચિવાલય સુધીની પોઈન્ટ બસો દોડાવવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો