રત્નકલાકારો માટે કંઈ નહીં !

વેબ દુનિયા

બુધવાર, 18 ફેબ્રુઆરી 2009 (20:58 IST)
વિશ્વમાં મંડાયેલી આર્થિક મંદીની સીધી અસર રાજ્યના ઝગમગતા શહેર સુરત ઉપર સીધી રીતે વર્તાઇ છે. અહીનો હીરા ઉદ્યોગ ઠપ થયો છે. રોજગારી છીનવાતાં રત્ન કલાકારો આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે સરકાર માટે તેમને સહાય કરવાની કોઇ યોજના નથી.

ગૃહમંત્રી અમિત શાહે આજે સભ્ય નિરંજનભાઈ પટેલના લેખિત પ્રશ્નમાં જણાવ્યું હતું કે, રાજયમાં હીરા ઊદ્યોગની મંદીમાં સપડાયેલા 20 રત્ન કલાકારોએ બેકારી અને આર્થિક તંગીના કારણે ગત વર્ષ દરમિયાન આત્મહત્યા કરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આત્મહત્યા કરી છે તે રત્નકલાકારોના પરિવારોને આર્થિક મદદ કરવા માટે સરકારની હાલ કોઈ યોજના અમલમાં નથી.

પરંતુ જે જીલ્લામાં હીરા ઊદ્યોગ વિકાસ પામેલ છે તે જીલ્લામાં સેમીનાર, પ્રદર્શન, હેલ્થ કેમ્પ ઓપન હાઊસ ટ્રેનગ પ્રોગ્રામ વગેરે યોજવામાં આવે છે. વર્ષ 2008-09માં આ અંગે રૂપિયા 23.50 લાખનો ખર્ચ કરવામાં આવેલ છે. આ ઊદ્યોગના વિકાસ માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે.

વેબદુનિયા પર વાંચો