આમ આદમી પાર્ટીના 182 મેન્ડેટ રદ કરવા ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ

મંગળવાર, 22 નવેમ્બર 2022 (13:28 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ફોર્મ ભરવા અને પાછા ખેંચવાની તારીખ પૂર્ણ થઈ ગઈ છે અને હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ત્યારે આમ આદમી પાર્ટી વધુ એક વખત વિવાદોમાં ફસાઈ છે.  વિધાનસભા ચૂંટણીના બંને તબક્કાના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે,  બંને તબક્કાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જેમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર કુલ 788 ઉમેદવારો છે અને બીજા તબક્કામાં 93 બેઠકો પર કુલ 833 ઉમેદવારો નોંધાયા છે. બીજા તબક્કામાં 400થી વધુ ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચ્યું.

મહત્વનું છે કે 1 ડિસેમ્બરે પ્રથમ અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના 182 મેન્ડેટ રદ કરવા ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાતા AAP ની મુશ્કેલી વધી શકે છે.ગુજરાતમાં આમ આદમી પાર્ટીના તમામ 182 ઉમેદવારોના મેન્ડેટ રદ કરવા ચૂંટણી પંચમાં ફરિયાદ થઈ છે. આ ફરિયાદ પોરબંદર અને ઉમરેઠના બે અરજદારોએ કરી છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે આમ આદમી પાર્ટીના તમામ મેન્ડેટ અનઅધિકૃત વ્યક્તિઓ દ્વારા અપાયા છે. આમ આદમી પાર્ટી એ રાષ્ટ્રીય પક્ષ નથી છતાં આ પક્ષના રાષ્ટ્રીય સેક્રેટરી પંકજ ગુપ્તાની સહીથી ગુજરાતમાં ચૂંટણી લડવાનો મેન્ડેટ અપાયો છે.  હકીકતમાં તો પાર્ટીના ગુજરાતના સેક્રેટરી જયદીપ પંડ્યાની સહીથી મેન્ડેટ ઈશ્યૂ થયેલા હોવા જોઈએ. અનઅધિકૃત વ્યક્તિની સહીથી મેન્ડેટ ઈશ્યૂ કરાયેલા હોવાથી તમામ સીટો પર AAPના ઉમેદવારના ફોર્મ રદ થવા જોઈએ, તેવો ફરિયાદમાં ઉલ્લેખ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર