શંકરસિંહ અને ગેહલોતની અંગત મીટિંગે અનેક અટકળોને વેગ આપ્યો

શનિવાર, 10 જૂન 2017 (14:50 IST)
ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોત અને વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ શુક્રવારે  મીટીંગ થતા અનેક પ્રકારની અટકળો પ્રકાશમાં આવી છે.  ચર્ચા મુજબ શંકરસિંહ વાઘેલાએ તેમને ગુજરાતમાં કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઘોષિત કરવાની અને ઉમેદવારોની પસંદગી કરવામાં પૂરેપૂરી છૂટ આપવાની માંગ કરી છે. આ અઠવાડિયે રાહુલ ગાંધીની મીટીંગ સહિત કોંગ્રેસની અનેક ઇવેન્ટમાં ગેરહાજર રહીને શંકરસિંહ વાઘેલાએ પોતાની નારાજગી જાહેરમાં પણ વ્યક્ત કરી દીધી છે.

વાઘેલા રાત્રે 9 વાગ્યે સર્કિટ હાઉસ ગહેલોતને મળવા ગયા હતા. તેમની વચ્ચે આ મીટીંગ લગભગ 30 મિનિટ ચાલી હતી. વાઘેલાએ જો કે મીટીંગમાં શું ચર્ચા થઈ તે અંગે કોઈ ખુલાસો કર્યો નથી. પરંતુ બાપુની નજીકના સૂત્રોએ જણાવ્યા મુજબ ગહેલોતે બાપુને ધરપત આપી છે કે તેઓ તેમની લાગણી પાર્ટીના હાઈ કમાન્ડ સુધી જરૂર પહોંચાડશે.  ગહેલોતે શરૂઆતમાં મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી કોઈપણ પ્રકારના પ્રેશરને આધીન નહિં થાય અને તેઓ ભાઈ-ભત્રીજાવાદને પ્રોત્સાહન નહિં આપે. તેમણે જણાવ્યું, “અમે જીત મેળવી શકે તેવા ઉમેદવારોને જ ટીકિટ આપીશું.” મધ્યપ્રદેશમાં વિરોધ કરતા ખેડૂતો પર ફાયરિંગની ટીકા કરતા ગેહલોતે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન તરીકે તમે જુદા જુદા માપદંડ ન રાખી શકો. ઉત્તર પ્રદેશમાં ખેડૂતોની લોન માફ કરો તો તમારે બીજા રાજ્યોમાં પણ કરવી જોઈએ.” મહેસાણામાં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામનાર કેતન પટેલના પરિવારની મુલાકાત લેનાર ગહેલોતે આ અંગે સીબીઆઈ ઇન્ક્વાયરીની પણ માંગ કરી છે. 

વેબદુનિયા પર વાંચો