ગુજરાત સરકાર સવર્ણો માટે અલગ આયોગની રચના કરશે

મંગળવાર, 16 મે 2017 (12:10 IST)
ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે  પત્રકારોને જણાવ્યું હતું કે ગુજરાત સરકાર સવર્ણો માટે અલગ આયોગની રચના કરવા માટે તૈયાર છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી ગુજરાતમાં પાટીદારોને અનામતની માંગણી બાદ હવે રાજ્ય સરકારે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા આ આંદોલનની ભાજપ પર માઠી અસર ન થાય તે માટે એક આયોગની રચના કરવાની તૈયારી દર્શાવી છે.

આ અંગે પત્રકારો સાથે વાતચીત કરતાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે સરકાર સવર્ણો માટે એક આયોગ રચવા માટે તૈયાર છે. પરંતુ તે કોઈ એક જાતિ માટે નહીં હોય અને આ આયોગનું નામ પણ કોઈ એક વિશેષ જાતિના નામ પર નહીં હોય. પાટીદારો તરફથી પાટીદાર આયોગની રચનાની માંગણી કરવામાં આવી હતી. પરંતુ બંધારણીય રીતે પણ કોઈ એક જાતિના નામે આયોગ સરકાર ન બનાવી શકે. એટલું જ નહીં કોઈ જાતિના નામ પર આયોગ બનાવાય તો અન્ય જાતિઓના વિરોધનો પણ સામનો કરવો પડે.  

વેબદુનિયા પર વાંચો