કોંગ્રેસમાં જૂથવાદ ટાળવા દિલ્હીના વોરરૂમમાં બેઠકોનો દોર શરૂ. ગેહલોતની વધતી ગુજરાત મુલાકાત

ગુરુવાર, 25 મે 2017 (12:36 IST)
ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણીના દિવસો ગણવાની શરુઆત થઈ ગઈ છે. ત્યારે રાજ્યમાં સામજિક આંદોલનો અને ભાજપમાં સ્ટાર પ્રચારકોનો દોર શરૂ થઈ ગયો છે. હાર્દિક પટેલ પણ અનામતને લઈ સરકાર પાસે મંત્રણા કરવા તૈયાર નથી. તો બીજી બાજુ કોંગ્રેસના ડખા સૌની નજર સમક્ષ છે. આમ આદમી પાર્ટી પણ જાણે ક્યાંય અણસાર આપી રહી નથી.

ત્યારે કોંગ્રેસમાં જૂથવાદ ટાળવા દિલ્હીના વોરરૂમમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા પ્રભારી અશોક ગેહલોતની ગુજરાત મુલાકાતોનો દોર પણ નજરે પડી રહ્યો છે.  આ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત પણ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી પહોંચ્યા છે. સંગઠનને મજબૂત કરવા , ચૂંટણીલક્ષી રણનિતી ઘડવા ઉપરાંત જૂથવાદને ઠારવા માટે અશોક ગેહલોત ડેમેજ કંટ્રોલરની ભૂમિકા અદા કરશે.સૂત્રોના મતે, બુધવારે અશોક ગેહલોતે એનેક્ષી ખાતે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જૂન મોઢવાડિયા સહિતના નેતાઓ સાથે બંધબારણે બેઠક યોજી ચૂંટણીલક્ષી ચર્ચા કરી હતી . કેટલાંક ધારાસભ્યો સાથે તેમણે સંગઠનના મામલે પણ અભિપ્રાય જાણ્યા હતાં . શહેર કોંગ્રેસના પદાધિકારીઓને મળીને તેમણે ચૂંટણીલક્ષી વાતચીત કરી હતી. ગુરૃવારે અશોક ગેહલોત જીલ્લા પ્રમુખ, જીલ્લા પંચાયતના પદાધિકારી ઉપરાંત જિલ્લા નિરીક્ષકો સાથે પણ બેઠક યોજી સંગઠનને મજબૂત કરવા માર્ગદર્શન આપશે. તેઓ પદાધિકારીઓ સાથે સંગઠન- ચૂંટણીના સંદર્ભમાં ફેસ ટુ ફેસ વાત કરશે.બે દિવસીય મુલાકાત દરમિયાન, અશોક ગેહલોત ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા વચ્ચેની વધેલી જૂથવાદની ખાઇને પૂરવા પ્રયાસ કરશે. દિલ્હીના વોરરૃમમાં પણ ગુજરાત માટે રણનિતી ઘડાઇ રહી છે તે માટે પણ બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ચોક્કસ રણનિતીને આખરી ઓપ આપી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો