ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર અને વારાણસીથી લોકસભાની ચૂંટણી લડી રહેલા નરેન્દ્ર મોદીની બાબતમાં સવાલ પૂછવા પર પાર્ટીના જ એક વરિષ્ઠ નેતા અને કાનપુરથી ચૂંટણી લડી રહેલા મુરલી મનોહર જોશી એક રિપોર્ટર પર ગુસ્સે થઈ ગયા. એટલું જ નહીં ઈન્ટરવ્યૂ લઈ રહેલા રિપોર્ટરને તેમણે ધમકી પણ આપી દીધી કે જો તેઓ આ રેકોર્ડિંગ ડિલીટ નહી કરે તો તેઓ તેમને પોતાના ઘરેથી નહીં જવા દે.
ઈન્ટરવ્યૂ દરમ્યાન જોશીએ પત્રકારને કહ્યું કે તેઓ નેશનલ ઈશ્યૂના કે મોદીને લગતા કોઈપણ પ્રશ્ન તેમને ન પૂછે. જોશીએ કહ્યું કે કાનપુર સીટની બાબતમાં પણ તેમને સવાલ ના પૂછવામાં આવે. જોશીએ આ વીડિયો ફૂટેજ જોવા ઉપરાંત તેને ડિલીટ કરવાનું પણ કહ્યું. જ્યારે ત્યાં હાજર પત્રકારે આવુ કરવાની ના પાડી તો તેમણે ધમકી આપી અને કહ્યું કે ફૂટેજ ડિલીટ નહી કરો તો તેમને ઘરની બાહર નહી જવા મળે.