આખેઆખી ગુજરાત પરિવર્તન પાર્ટી સાગમટે ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ

બુધવાર, 12 ફેબ્રુઆરી 2014 (14:06 IST)
P.R

ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી)ના નવ નિયુક્ત પ્રમુખ ગોરધન ઝડફિયા હવે, એકાદ સપ્તાહ દરમ્યાન ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ આકાર પામી છે. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના દીકરા મહેશ પટેલના પુત્રના લગ્ન પ્રસંગે સાણંદ ખાતેના એક પાર્ટી પ્લોટમાં રાષ્ટ્રિય સ્વંય સેવક સંઘ (આરએસએસ-સંઘ) અગ્રણીઓ તથા ઝડફિયા વચ્ચે બંધ બારણે મીટીંગ યોજાઈ હતી. જેમાં સંઘના અગ્રણીઓએ ઝડફિયાને ભાજપમાં જોડાઈ જવા માટે મનાવી લીધી હોવાનું જાણવા મળ્યું છે. બીજીબાજુ જીપીપીનું અધ્યક્ષ સ્થાન છોડનાર કેશુભાઈ પેટલને પણ ભાજપમાં જોડાઈ જવા માટે અડવાણીએ મદ્યસ્થી કરી હોવાની ચર્ચા છે.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્દ મોદીને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરાયા બાદ, વિવિધ રાજ્યોમાં મોદીની રેલીઓ અને સભાઓને મળી રહેલી સફળતા પછી ભાજપ-મોદી દ્વારા ગુજરાતની તમામ ૨૬ બેઠકો જીતી લેવાની દિશામાં કાર્યવાહી આરંભાઈ છે. આ માટે તેમણે દરેક જિલ્લા-તાલુકા, ગ્રામ્ય કક્ષા અને બુથ લેવલ ઉપરાંત હવે તો જે તે બુથના મતદારોના નામોની યાદીના પાના દીઠ પ્રમુખ બનાવીને માઈક્રો પ્લાનીગં કરી નાંખ્યું છે.

આવી પરિસ્થિતિમાં લોકસભાની આગામી ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જંગ થશે તો ભાજપને ફાયદા થશે એવા સર્વે રિપોર્ટને આધારે ગુજરાતમાં ગોરધન ઝડફિયાનો પક્ષ- ગુજરાત પરિવર્તના પાર્ટી (જીપીપી) ચૂંટણી મેદાનમાં ઉતરે તો ભાજપની જીત મુશ્કેલ બની શકે તેમ છે.એવી શક્યતાને દૂર કરવા માટે હવે ભાજપના ઈશારે સંઘ મેદાનમાં આવ્યું છે અને આગામી ચૂંટણીમાં ભાજપની જીત વચ્ચે આવનારા તમામ પરિબળોને યેનકેન પ્રકારેન માર્ગમાંથી દૂર કરવાની કોશીશ કરી રહી છે.જેના ભાગરુપે જ ગોરધન ઝડફિયા અને જીપીપીને ભાજપમાં ભેળવી દેવાનો પેંતરો રચાયો છે.ઝડફિયા આ માટે તૈયાર ન હોય તોપણ સંઘના નેતાઓએ તેમને આ માટે મનાવી લીધા હોવાનું કહેવાય છે.

ભૂતકાળમાં ઝડફિયા કે તેમનો અગાઉનો પક્ષ મહાગુજરાત જનતા પાર્ટી (મજપા) કાંઈ કાઠું કાઢી શક્યો નથી પરંતુ તેના કારણે ભાજપની તરફેણના વેટા વહેંચાઈ જવાથી બાજપને ખાસ્સુ સહન કરવું પડ્યું હતું.તે પછી કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ૬ઠ્ઠી ઓગષ્ટ-૨૦૧૨ના રોજ રચાયેલી ગુજરાત પરિવર્તન પાર્ટીના માત્ર બે જ ધારાસભ્યો ગુજરાત વિધાનસબાની ચૂંટણીમાં જીત્યા હતા પરંતુ સંખ્યાબંધ બેઠકો ઉપર ભાજપને મળવાપાત્ર વોટ જીપીપીના ઉમેદવારોએ પોતાની તરફેણમાં ખેંચી લેતા ભાજપને ભારે નુકશાન થયું હતું.આવી જ પરિસ્થિતિ આગામી લોકસભાની ચૂંટણીમાં ના થાય તે માટે ભાજપ અને તેના કહેવાથી સંઘ તરફથી બનતાં તમામ પ્રયત્ન કરાય છે કે,ચૂંટણીમાં ભાજપને નડી શકે તેવા તમામ પરિબળોને દૂર કરી શકાય.

ઝડફિયાને સંઘના નેતાઓએ સમાજવ્યું હતું કે, આ વખતે દેશભરમાં કોંગ્રેસની સ્થિતિ સૌથી ખરાબ છે. ભાજપના ઉમેદવાર જીતીને કેન્દ્દમાં શાસનમાં આવે તેવી સ્થિતિ છે. એમાં ગુજરાતમાંથી તમામ ૨૬ બેઠકો જીતવી હોય તો જીપીપીને ચૂંટણી મેદાનમાંથી ખસી જવું અને ભાજપમાં જોડાઈ જવું જરુરી છે. આમ પણ ઝડફિયાના પક્ષની વિચારસરણી ભાજપ જેવી જ હોવાથી તેઓ ભાજપમાં જોડાવા માટે લગભગ તૈયારી દર્શાવી ચૂક્યાં હોવાનું કહેવાય છે.

ઝડફિયા, જીપીપીની સાથે ાજપમાં જોડાય તો, તેમને લોકસભમાં ભાવનગરની બેઠક પરથી ટિકિટ મળે અથવા વિધાનસભાની કોઈ બેઠક પરની પેટા ચૂંટણી લડાવીને ધારાસભ્ય બન્યા બાદ મંત્રીપદુ આપવું, એવી કોઈ ફોર્મ્યુલા ચર્ચાઈ હોવાનું જાણવા મળ્યું છે.

વેબદુનિયા પર વાંચો