ઉત્તર પ્રદેશથી પ્રેમિકાને ભગાડી સુરત લાવી પ્રેમીએ દુષ્કર્મ કરીને જીવતી સળગાવી

બુધવાર, 12 એપ્રિલ 2023 (14:13 IST)
પ્રેમી વતન ઉત્તરપ્રદેશમાં પાડોશમાં રહેતી તરૂણીને લગ્નની લાલચ આપી ભગાવીને સુરતના કીમ ખાતે લાવ્યો હતો. ત્યારબાદ બાદ તે વતન પરત જવા માંગતી હોય પ્રેમીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને વતન જવા ફરી જીદ કરતા તેને જીવતી સળગાવી હતી. જોકે, પ્રેમિકા બચી ગઈ હતી અને હોસ્પિટલમાં દાખલ કરી રસોઈ બનાવતા દાઝી હોવાનું જુઠ્ઠાણુ ફેલાવ્યું હતું. તરૂણી સ્વસ્થ થતા પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પ્રેમીને ઝડપી ઉત્તરપ્રદેશ પોલીસને સોંપ્યો હતો.મળતી માહિતી પ્રમાણે, ઉત્તરપ્રદેશના સુલતાનપુરના બહરી ગામનો વતની મહાવીર ઉર્ફે વીરે છેદીલાલ નિષાદ વતનમાં તેની પાડોશમાં રહેતી તરૂણીને ગત 17 જાન્યુઆરીના રોજ લગ્નની લાલચ આપી ભગાવીને સુરતના કીમ નરોલી ગામ ઝૂંપડપટ્ટીમાં લાવ્યો હતો. જ્યાં મકાન રાખી બંને રહેતા હતા. જોકે, થોડા દિવસ બાદ તરૂણીએ વતન પરત જવા માંગણી કરી હતી.મહાવીર ઉર્ફે વીરે તેને મોકલવા માંગતો નહોતો.

જેથી તેણે તરૂણી સાથે દુષ્કર્મ આચર્યું હતું. 10 દિવસ અગાઉ તરૂણીએ ફરી વતન જવા જીદ કરતા મહાવીર ઉર્ફે વીરેએ તેના ઉપર ડીઝલ છાંટીને જીવતી સળગાવી હતી. જોકે, તરૂણી બચી ગઈ હતી.મહાવીર તરૂણીને બેભાન હાલતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યો હતો અને તે રસોઈ બનાવતા દાઝી ગઈ છે તેમ કહી તેને દાખલ કરી ફરાર થઈ ગયો હતો. તરૂણી ભાનમાં આવતા તેના માતા-પિતાને વતનથી બોલાવી સોંપ્યા બાદ તરુણીએ હકીકત જણાવતા ઉત્તરપ્રદેશમાં મહાવીર ઉર્ફે વીરે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ નોંધાતા ભાગી છૂટેલા મહાવીર ઉર્ફે વીરેને શોધવા ઉત્તરપ્રદેશ પોલીસ સુરત આવતા સુરત શહેર એસઓજીટીમને મળેલી બાતમીના આધારે મહાવીર ઉર્ફે વીરેને સગરામપુરા તલાવડી ખાતેથી ઝડપી પાડી ઉત્તરપ્રદેશ પોલીસને સોંપ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર