દાહોદના રામપુરામાં સરકારી શાળાનો દરવાજો પડતાં ઘાયલ 8 વર્ષિય બાળકીનું મોત

સોમવાર, 26 ડિસેમ્બર 2022 (12:52 IST)
તાજેતરમાં અમદાવાદમાં નવા બની રહેલા પોલીસ સ્ટેશનનો મુખ્ય દરવાજો પડતાં એક બાળકનું મોત નિપજ્યું હતું. જ્યારે હવે આવી ઘટના દાહોદમાં બની છે. દાહોદ શહેર નજીક આવેલા રામપુરા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં પ્રવેશદ્વારનો લોખંડનો તોતિંગ દરવાજો તૂટીને એક વિદ્યાર્થીની ઉપર પડ્યો હતો. ગંભીર રૂપે ઘાયલ થયેલી વિદ્યાર્થીનીનું અંતે સારવાર દરમિયાન અમદાવાદ ખાતે મૃત્યુ થયુ હતું. આ ઘટનાથી ગામમાં રોષ સાથે શોકની લાગણી ફેલાઇ ગઇ છે. તાલુકા પોલીસે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.દાહોદ તાલુકાના રામપુરા ગામના ડોબણ ફળીયામાં રહેતા નરેશભાઇ લલ્લુભાઇ મોહનીયાની 8 વર્ષિય પુત્રી અસ્તમિતાબેન તા.20મીના રોજ રામપુરા મુખ્ય પ્રાથમિક શાળાએ ભણવા ગઇ હતી. ત્યારે સાંજના 4.30 વાગ્યાના અરસામાં શાળાએથી ઘરે જતા સમયે સ્કૂલનો મેઇન પાસે ઉભી હતી.તે દરમિયાન મેઇન દરવાજો અચાનક અસ્મિતા ઉપર પડતાં તેને માથામાં ભાગે ઇજા થઇ હતી. ઘાયલ બાળકીને તાત્કાલિક સારવાર માટે ઝાયડસ દવાખાને દાખલ કરવામાં આવી હતી. ઘટના પગલે શિક્ષણ વિભાગના અગ્રણીઓ પણ દવાખાને દોડી ગયા હતાં. દરવાજો કઇ રીતે તૂટયો તેની તપાસ પણ શરૂ કરી હતી. જોકે, બાળકીના માથામાં ગંભીર પ્રકારની ઇજા થઇ હોવાથી તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી હતી. જ્યા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર