અમદાવાદના હેબતપુર વિસ્તારમાં લૂંટના ઈરાદે બે સીનિયર સીટીઝન દંપતિની ઘાતકી હત્યા કરાઈ

શુક્રવાર, 5 માર્ચ 2021 (13:02 IST)
અમદાવાદ શહેરમાં હેબતપુરા વિસ્તારમાં લૂંટના ઈરાદે બે સીનિયર સીટીઝન દંપતિની ઘાતકી હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. ​​​​​​​શુક્રવારે સવારે બનેલી આ ઘટનામાં પોલીસે હાલ ચોરી કે લૂંટના ઇરાદે હત્યા કરાયાની આશંકાથી પ્રાથમિક તપાસ શરૂ કરી છે. આ કેસમાં ઘરઘાટી કે જાણભેદુ શખ્સોએ હત્યા કરી હોવાની આશંકાઓ સેવાઈ રહી છે.
 
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ શહેરના હેબતપુરા ચાર રસ્તા પાસે આવેલા શાંતિ પેલેસ બંગ્લોઝમાં જાણીતા પટેલ પરિવારના બે સભ્યોની ચોરીના ઈરાદે ઘરમાં ઘુસેલા શખ્સોએ હત્યા કરી હતી. સીનીયર સીટીઝન દંપતીના અશોકભાઈ કરસનદાસ પટેલ અને જ્યોત્સનાબેન અશોકભાઈ પટેલના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાઈ હતી. પોલીસને આ મામલે ઘરઘાટી અથવા તો જાણભેદુ શખ્સોએ હત્યા નીપજાવી હોવાની આશંકા છે. ઉલ્લેખનીય છે કે તેમનો દિકરો હેતાર્થ પટેલ હાલમાં દુબઈ રહે છે. તેમજ મૃતક દંપત્તિ પણ લોકડાઉનના સમયગાળામાં દુબઈ હતાં. તેમનો ઘરઘાટી હાલ અહીંયાં જ છે. તે ઉપરાંત તેમના ઘરનો દરવાજો પણ તોડી નાંખવામાં આવ્યો છે. તેમની દિકરી મેઘા હાલમાં અમદાવાદમાં નારણપુરામાં રહે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર