ભારત સરહદે ચીને મિસાઇલ, તોપ અને હથિયારો ખડકી દીધાં

સોમવાર, 8 ફેબ્રુઆરી 2021 (13:50 IST)
ભારત સરહદે ચીને મિસાઇલ, તોપ અને હથિયારો ખડકી દીધાં
પૂર્વીય લદ્દાખના વિસ્તારમાં ડિસઇંગેજમેન્ટને લઈને ભારત અને ચીન વચ્ચે નવ તબક્કાની સૈન્ય વાતચીત થઈ છે, પરતું આ દરમિયાન ચીનની સેના 3,488 કિલોમિટર લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર તણાવ ઓછું કરવાનો કોઈ સંકેત નથી આપી રહ્યું.
 
હિંદુસ્તાન ટાઇમ્સ પ્રમાણે ચીનની સેનાએ તિબેટમાં આર્ટિલરી ગન, સ્વ-ચાલિત હોવિત્ઝર અને સરેફસ-ટૂ-મિસાઇલોની તહેનાતી વધારી દીધી છે.
 
ઇન્ડિયન નૅશનલ સિક્યૉરિટી પ્લાનર્સ અનુસાર, PLA ત્રણેય સેક્ટરોમાં નવી તહેનાતી કરી રહી છે અને સૈનિકો અને ભારે સૈન્ય ઉપકરણોને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી રહી છે. સાથે જ પૈંગોંગ ત્સોનાં ફિંગર ક્ષેત્રોમાં નવું નિર્માણ કરી રહી છે.
 
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા પ્રમાણે, સીમા પર તણાવ વચ્ચે ભારત LAC પર નિગરાની વધારવા જઈ રહ્યું છે.
 
અખબાર પ્રમાણે, ભારત ચીન સાથે જોડાતી ઉત્તરી સીમાઓ પર પોતાની સર્વેલન્સ ક્ષમતાઓ વધારવા જઈ રહ્યું છે. તેમજ ભારે સંખ્યામાં ડ્રોન, સેન્સર, સૈનિક સર્વેક્ષણ અને ઇલેક્ટ્રૉનિક યુદ્ધ ઉપકરણ તહેનાત કરશે જેથી PLAની પ્રવૃત્તિઓ પર નજર રાખી શકાય અને ઘૂસણખોરી અંગે જાણવા માટેની કાર્યવાહી મજબૂત બનાવાય.
 
 
ગત મહિને મુંદ્રા પોલીસ દ્વારા ઘરફોડના ગુનાની આશંકામાં ત્રણ વ્યક્તિઓને ઉઠાવી લઈ જઈ કસ્ટડીમાં રાખી માર મારવાના કેસમાં બીજા શકમંદ હરજોગ ગઢવીનું પણ અમદાવાદ સિવિલ હૉસ્પિટલ ખાતે સારવાર દરમિયાન કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
 
ઇન્ડિયન એક્સપ્રેસ સાથે ઘટના અંગે વાત કરતાં ભુજ ડિવિઝનના DSP જે. એન. પંચાલે કહ્યું કે, “હરજોગનું અમદાવાદ સિવિલ હૉસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. તેમને મુંદ્રા પોલીસના આરોપી પોલીસકર્મીઓ દ્વારા માર મારવામાં આવતાં સારવાર માટે સિટી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હજુ મૃતદેહનો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ કરાવવાનો બાકી છે. જેની મદદથી અમને મૃત્યુનું કારણ જાણી શકાશે.”
 
અહેવાલ પ્રમાણે મુંદ્રા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ જાન્યુઆરી મહિનામાં સમઘોઘા ગામના હરજોગ ગઢવી અને શામલા ગઢવીને ઉઠાવી લઈ ગયા હતા. આ કેસમાં અગાઉથી અરજણ નામના એક શકમંદની ધરપકડ કરવામાં આવી હતી.
 
પોલીસની કાર્યવાહી બાદ અરજણનું 19 જાન્યુઆરીના રોજ મુંદ્રાના કૉમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
 
સ્થાનિક ગઢવી સમાજ દ્વારા મૃતક અરજણ ગઢવીનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરાયો હતો અને પોલીસકર્મીઓના મારના કારણે તેમનો જીવ ગયો હોવાનો આક્ષેપ કરાયો હતો. જેને પગલે મુંદ્રા પોલીસ સ્ટેશનમાં કાર્યરત ત્રણ હેડ કૉન્સ્ટેબલો પર મૃત્યુ નીપજાવવાનો, સ્વેચ્છાએ ઈજા પહોંચાડવાનો અને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
 
અરજણના મૃત્યુ બાદ હરજોગ અને શામલાને ભુજ ટાઉનની જી. કે. જનરલ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાંથી તેમને વધુ સારવારાર્થે અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં રેફર કરાયા હતા. જ્યાં સારવાર હેઠળ પીડિત હરજોગ ગઢવીનું દુ:ખદ મૃત્યુ થયું હતું.
 
આ કેસના તમામ આરોપી હેડ કૉન્સ્ટેબલ હાલ પોલીસની પકડથી બહાર છે. જ્યારે આ કેસમાં મુંદ્રા પોલીસ સ્ટેશનના સર્વિંગ ઇન્સ્પેક્ટર જે. એ. પઢિયાર અને અન્ય એક હેડ કૉન્સ્ટેબલ વિરલ જોશીની ધરપકડ કરાઈ હતી. હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર