અમદાવાદથી વિમાનમાં ગુવાહાટી પહોંચેલા બે પેસેન્જર કોરોના પોઝિટિવ

શુક્રવાર, 29 મે 2020 (12:41 IST)
અમદાવાદથી 25 મેના રોજ સ્પાઇસ જેટની ફ્લાઈટમાં દિલ્હી થઈ ગુવાહાટી સુધી મુસાફરી કરનારા બે પેસેન્જરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ આ બંને મુસાફરોની સાથેસાથે પાઇલટ અને ક્રૂ મેમ્બર્સને પણ ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. એરલાઈન્સના અધિકારીએ જણાવ્યું કે, આ બન્ને પેસેન્જરોએ અમદાવાદથી ફ્લાઇટ એસજી-8194માં અમદાવાદથી દિલ્હી સુધી અને ત્યાંથી કનેક્ટિંગ ફ્લાઈટ એસજી-8152માં ગુવાહાટી સુધી મુસાફરી કરી હતી. ફ્લાઈટ ગુવાહાટી પહોંચ્યા બાદ પેસેન્જરોના કોરોના ટેસ્ટ કરાવવામાં આવતા તેઓ પોઝિટિવ હોવાની જાણ થઈ હતી. બન્ને પેસેન્જરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને ક્વોરન્ટાઇન કરવાની સાથે ફ્લાઈટના પાઇલટ અને ક્રૂ મેમ્બર્સને પણ ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ એર ઇન્ડિયાની દિલ્હીથી લુધિયાનાની ફ્લાઈટમાં અને ઇન્ડિગોની ચેન્નઈથી કોયમ્બતુરની ફ્લાઈટમાં મુસાફરી કરતા પેસેન્જરો પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર