અમદાવાદમાં આગામી 18 જુલાઇએ ભવ્ય રથયાત્રા નીકળવા જઇ રહી છે. આ માટે જગન્નાથ મંદિર અને શહેર પોલીસનું તંત્ર સજ્જ થઇ ગયું છે. આ વખતની રથયાત્રા 138મી રથયાત્રા હશે. જેમાં 18 શણગારેલા હાથી, 98 ટ્રક, અંગકસરતનાં 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડવાજા રથયાત્રામાં જોડાશે. પરંપરાગત રીતે રથને ખેંચવા માટે 1200 જેલા ખાલસા ભાઇઓ જગન્નાથનાં ચરણોમાં સેવા આપશે. જ્યારે દેશભરમાંથી 2000 સાધુ-સંતો આ રથયાત્રામાં હાજર રહશે.
રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટતાં હોય છે. ભાવિકોની આસ્થા સાથે રથયાત્રાનો ખાસ મગનો પ્રસાદ જોડાયેલો છે. જેને લેવા માટે ભાવિકોનો અનેરો ઉત્સાહ હોય છે. આ ઉત્સાહને જોઇને મંદિર તરફથી 25000 કિલો મગ, 400 કિલો જાંબુ, 200 કિલો કેરી, 200 કિલો કાકડી, દાડમ, 2 લાખ ઉપેણાનો પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.
પરમ પુનિત અને સાંસ્કૃતિ તેમજ ઐતિહાસિક મહત્વ ધરાવતી રથયાત્રા પ્રારંભની વિધિને પહિંદ વિધિ કહેવામાં આવે છે. ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આ વખતે પણ રથયાત્રાને પ્રસ્થાન કરાવશે. આનંદીબેન સોનાની સાવરણથી રથને સ્વચ્છ કરી તેમજ દોરડું ખેંચીને રથયાત્રાને પ્રયાણ કરાવશે.