કચ્છના સિદ્ધ પુરુષ. તે હરિજન કોમમાં જન્મ્યા હતા. યદુવંશ-પ્રકાશ અનુસાર તેમની તેરમી પેઢીના વડવા માતંગ દેવ વિશે એવી દંતકથા પ્રવર્તે છે કે તેમના પિતા વિદ્વાન બ્રાહ્મણ હતા અને જ્યોતિષશાસ્ત્રમાં પારંગત હતા. તેમનું અવસાન થતાં તેમના 4 પુત્રો પૈકી 3 તેમની ઉત્તરક્રિયામાં વ્યસ્ત હતા ત્યારે તેમનો સૌથી નાનો પુત્ર તેમના તમામ શાસ્ત્રગ્રંથો લઈને ભાગી ગયેલો અને એક મેઘવાળ હરિજનના ઘરમાં છુપાયેલો.