દોઢ વર્ષના બાળકના ગળામાં દાડમનો દાણો ફસાઈ જતા મોત

બુધવાર, 10 જાન્યુઆરી 2024 (07:24 IST)
દિયોદર ગોકુળનગરમાં ઘર આંગણે રમતા દોઢ વર્ષના બાળકના ગળામાં દાડમનો દાણો ફસાઈ જતા મોત નીપજ્યુ છે. બાળકના ગળામાં દાડમનો દાણો ફસાઇ જતા તેનો શ્વાસ રૂંધાઇ ગયો હતો જે બાદ  તેનુ મોત નીપજ્યુ છે
 
દિયોદરની ગોકુલનગર સોસાયટીમાં સોમવારે સાંજના સમયે શંભુલાલ ગોપાલદાસ તન્નાના નાના દીકરા જીગર શંભુલાલ તન્નાનો દીકરા હર્ષના જન્મદિવસની ઉજવણી ચાલી રહી હતી. તે દરમિયાન શંભુલાલના મોટા દીકરા પિયુષ શંભુલાલ તન્નાનો એકનો એક દીકરો જૈનીલ (ઉં.વ.15 માસ) તેના પિતરાઈ ભાઈના જન્મદિવસની ઉજવણીમાં નાના બાળકો સાથે કિલ્લોલ કરી રહ્યો હતો. ત્યારે જન્મદિવસની કેક કાપ્યા બાદ ઉપસ્થિત તમામને બટાકા પૌઆનો નાસ્તો પરિવારજનો દ્વારા આપવામાં આવ્યો હતો. તે દરમિયાન બટાકા પૌઆના નાસ્તામાં દાડમ પણ નાખવામાં આવી હતી. ત્યારે જૈનીલ દાડમના દાણા ખાઈ ગયો હોવાથી દાડમનો દાણો શ્વાસ નળીમાં ફસાઈ જતા શ્વાસ રૂધાવા લાગતા પરિવારજનો તાબડતોબ દિયોદરમાં ખાનગી દવાખાનામાં સારવાર અર્થે લઈ ગયા હતા.
 
પરંતુ દીકરાની તબિયત વધુ લથડતા વધુ સારવાર અર્થે ડીસામાં લઈ ગયા હતા. ત્યાં ફરજ પરના તબીબે બાળક મૃત હાલતમાં હોવાનું જણાવતા પરિવારજનો પર આભ ફાટ્યું હતું. આક્રંદ રુદન સાથે પરિવારજનો શોકમય બની ગયા હતા. અને નાના ભૂલકાના સ્વર્ગવાસ થવાના સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર દિયોદર ગામમાં સ્નેહીજનો, મિત્ર વર્તુળમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. સોમવારે રાત્રે દિયોદર સાર્વજનિક સ્મશાન ગૃહમાં મૃતક જૈનીલ તન્નાની અંતિમવિધિ કરવામાં આવી હતી.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર