વાઈબ્રન્ટમાં અડધું ગાંધીનગર 'નો-પાર્કિંગ' ઝોનમાં ફેરવાશે

શનિવાર, 7 જાન્યુઆરી 2017 (13:46 IST)
રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં હાલ વાઈબ્રન્ટનો ધમધમાટ ચાલી રહયો છે. તા.૯મીથી ૧૩ જાન્યુઆરી સુધી શહેરમાં વીવીઆઈપી મુવમેન્ટ રહેવાની છે ત્યારે પોલીસ દ્વારા વિવિધ જાહેરનામાંઓ પણ અમલી બનાવાયા છે. જે અંતર્ગત વાઈબ્રન્ટ સમિટ દરમ્યાન આવનારા વાહનોને કલરકોડ આધારે જ ગાંધીનગરમાં પ્રવેશવા દેવામાં આવશે તેની સાથે અડધા ગાંધીનગરને નોપાર્કીંગ ઝોનમાં ફેરવી દેવામાં આવ્યું છે. માર્ગોમાં પણ ડાઈવર્ઝન આપવામાં આવ્યા છે. ૧૬ હજાર વાહનો પાર્ક થઈ શકે તે માટે ૧૪ જેટલા પાર્કીંગ સ્થળો ઉભા કરવામાં આવ્યા છે જ્યાંથી ડેલીગેટસ અને મુલાકાતીઓને લઈ જવા માટે ર૦૦થી વધુ લકઝુરીયસ બસો ગોઠવવામાં આવનાર છે. દર બે વર્ષે ગાંધીનગરમાં યોજાતી વાઈબ્રન્ટ સમિટમાં લાખો કરોડોના એમઓયુ થતાં હોય છે પરંતુ આ એમઓયુ સંદર્ભે રોકાણ થાય કે ના થાય પણ ગાંધીનગર ચકચકાટ ચોકકસ થઈ જાય છે. હાલ ગાંધીનગરને રાજાની કુંવરીની જેમ સજાવવામાં આવી રહયું છે. તા.૯ જાન્યુઆરીથી ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટને લઈ વીવીઆઈપી મુવમેન્ટ શરૃ થઈ જશે. જેના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ જાહેરનામાંઓ પ્રસિધ્ધ કરવામાં આવે છે. જેમાં નોપાર્કીંગ ઝોન અને વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ સંદર્ભે છે. આ જાહેરનામાં જોતાં અડધું ગાંધીનગર શહેર નોપાર્કીંગ ઝોનમાં આવી ગયું છે. જેમાં ચ-૩થી ચ-પ સુધી, ઘ-૩થી ઘ-પ સુધી, ખ-૦થી ખ-પ સુધી, ચ-૩થી ખ-૩, સર્કિટ હાઉસ સર્કલથી ખ-પ, વૈષ્ણોદેવી સર્કલથી ઈન્દ્રોડા સર્કલ, ઈન્દીરાબ્રીજથી રક્ષાશક્તિ સર્કલ, સરગાસણથી મહાત્મા મંદિર સુધીનો માર્ગ નો પાર્કીંગ ઝોનમાં ફેરવાયો છે તો ખ-૦થી ખ-પ સર્કલ સુધી ખાનગી વાહનો ઉપર પ્રવેશ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટ દરમ્યાન કલરકોડ આધારે વાહનોને પ્રવેશની જોગવાઈ રાખવામાં આવી છે. જે પ્રકારે ગોલ્ડ અને સિલ્વર પાસ ધરાવતાં મહેમાનોએ રક્ષાશક્તિ સર્કલથી સરગાસણ થઈ ખ-રોડથી મહાત્મા મંદીર પહોંચવાનું રહેશે. જ્યારે રેડ, બ્લયુ અને ગ્રીન પાસ ધરાવતાં મહેમાનોએ ચ-રોડ થી વાહનપાર્કીંગ સ્થળોએ જવાનું રહેશે. જ્યાંથી ર૦૦ જેટલી લકઝુરીયસ બસ મારફતે મહાત્મા મંદિર સુધી લઈ જવામાં આવશે. એક્ઝિબીશન સેન્ટરમાં પણ આ જ પ્રકારની પાર્કીંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તા.૧ર અને ૧૩ જાન્યુઆરીના રોજ આ એક્ઝિબીશન સેન્ટર સામાન્ય માણસો માટે ખુલ્લુ રહેવાનું છે તેમને પણ વાહનો પાર્કિંગ સ્થળે મુકવાના રહેશે. જ્યાંથી ૬૦ જેટલી બસો દ્વારા એક્ઝિબીશન સેન્ટર સુધી લઈ જવામાં આવશે. પોલીસ દ્વારા ૪૦ જેટલી ક્રેન પણ ભાડે મંગાવવામાં આવી છે. જે રોડ ઉપર રહેલા વાહનોને ટોઈંગ કરી જશે.

વેબદુનિયા પર વાંચો