હવે ગ્રામીણ વિસ્તારના લોકો પીવાના પાણીની ફરિયાદ ટોલ-ફ્રી નંબર ૧૯૧૬ ઉપર નોંધાવી શકશે

ગુરુવાર, 28 મે 2020 (12:02 IST)
ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારની પીવાના પાણીની સમસ્યાઓનો ઝડપી ઉકેલ આવી શકે તે હેતુથી પીવાના પાણીની ફરિયાદ નોંધણી માટે  ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર ‘૧૯૧૬’ ૨૪ કલાક કાર્યરત છે.
 
ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારની પીવાના પાણીને સંબંધીત ફરિયાદો જેવી કે  હેન્ડપંપ રીપેરીંગ , મીની પાઈપ યોજનાનું રીપેરીંગ અને વ્યક્તિગત કે જુથ પાણી પુરવઠા યોજના દ્વારા આપવામાં આવતા પાણી અંગેની કોઈપણ ફરિયાદ નાગરિકો આ ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર ‘૧૯૧૬’ ઉપર નોંધાવી શકે છે.
 
યાદીમાં જણાવ્યા અનુસાર ગ્રામ્ય વિસ્તારમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ કે લીકેજ હોય, પાણીની ચોરી થતી હોય અથવા કોઈ વિસ્તારમાં પાણીનો ખોટો વ્યય થતો હોય તેવા કિસ્સામાં પણ નાગરિકો ફરિયાદ નોંધાવી શકે છે. ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા ઓનલાઈન ફરિયાદ નોંધવાની સુવિધા પણ પુરી પાડવામાં આવી છે. 
ઓનલાઈન ફરિયાદ https://ws.gujarat.gov.in/ વેબસાઈટના New Complaint સેક્શન મારફતે નવી ફરિયાદ નોંધાવી શકાશે. જો કોઈ કિસ્સામાં ટોલ ફ્રી નંબર ‘૧૯૧૬’ વ્યસ્ત જણાય તો આવા કિસ્સામાં નાગરિકો અન્ય નંબર ૧૮૦૦ ૨૩૩ ૩૯૪૪ ઉપર પણ ફરિયાદ નોંધાવી શકે છે તેમ વધુમાં ગુજરાત પાણી પુરવઠા બોર્ડની યાદીમાં જણાવ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર