ખુશખબરી! સરકારે કરી મોટી જાહેરાત - યુવાઓને માસિક રૂ. ૧ લાખનું મહેનતાણું

મંગળવાર, 31 ઑક્ટોબર 2023 (18:06 IST)
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સુરાજ્ય-ગુડ ગવર્નન્સની પરંપરા દ્વારા સામાન્ય માનવી, ગરીબ-વંચિત સૌના કલ્યાણથી સુશાસન એ જ લક્ષ્યનો શાસનભાવ વિકસાવ્યો છે. મુખ્યમંત્રી   ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી ના આ જ લક્ષ્યની પ્રેરણાથી ગુજરાતમાં ગુડ ગવર્નન્સને વેગ આપતું આગવું કદમ ઉઠાવ્યું છે.મુખ્યમંત્રી એ રાજ્યની પ્રશાસનિક વ્યવસ્થામાં તેજસ્વી યુવાઓના ઇનોવેટીવ આઈડિયાઝ-વિચારોની ઊર્જાના વિનીયોગ માટે ‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ’ ની જાહેરાત કરી છે.
 
રાજ્ય સરકારની વહીવટી વ્યવસ્થા, પ્રશાસન વ્યવસ્થા, જનસેવા અને જન કલ્યાણ કાર્યક્રમો, પ્રજાકીય પ્રશ્નોના સમાધાન સહિત ગુડ ગવર્નન્સ અને પ્રો-એક્ટિવ પ્રો-પીપલ ગવર્નન્‍સ માટે યુવા શક્તિનું યોગદાન આ ફેલોશીપ દ્વારા મળતું થશે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલા આ ‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ’ માટે યુવાઓ પાસેથી આવેલી અરજીઓની યોગ્યતાના ધોરણે પસંદગી કરાશે. આ ફેલોશીપની સમાયાવધિ એક વર્ષની રાખવામાં આવી છે તેમજ આ સમય દરમિયાન ફેલો યુવાઓને માસિક રૂ. ૧ લાખનું મહેનતાણું પણ સરકાર આપશે. રાજ્ય સરકારના વિવિધ જનહિતકારી પ્રોજેક્ટસના સફળ અમલીકરણમાં નવીનતા, અસરકારકતા અને ગુણવત્તા સુધારણા માટે આ ફેલો યુવાઓની જ્ઞાન સંપદાનો ઉપયોગ કરાશે.
 
આવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટસમાં મુખ્યત્વે પી.એમ. પોષણ યોજના, એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અને બ્લોક્સમાં આ યોજના અન્વયે અપાતા ભોજન-પોષણયુક્ત પદાર્થોનો વ્યય અટકાવવો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એનરોલમેન્ટ સુધારણા તથા વિજ્ઞાન અને ગણિત જેવા ગહન વિષયો પ્રત્યે રૂચી કેળવવા જેવી બાબતો આવરી લેવાઇ છે. આ ઉપરાંત રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવો, નર્મદાના જળનો સિંચાઈ હેતુ માટે વ્યાપક અને મહત્તમ ઉપયોગ, હેરિટેજ, વાઇલ્ડ લાઇફ, બિચ ટુરીઝમને પ્રમોટ કરવા અને શહેરી તથા ઔદ્યોગિક પ્રદૂષણ નિયંત્રણ તેમજ શહેરોમાં ઘન અને પ્રવાહી કચરાના રિસાયકલિંગના આયામો જેવા સેક્ટર્સ પણ ફેલો પ્રોગ્રામ અન્વયે આવરી લેવામાં આવશે.
 
‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ’ માં વિશ્વ ખ્યાત મેનેજમેન્ટ સંસ્થાન IIM-અમદાવાદ એકેડેમિક પાર્ટનર તરીકે જોડાશે. IIM-અમદાવાદના ફેલોની પસંદગી અને તાલીમ સાથે સંકળાયેલી પ્રક્રિયાઓ અને કાર્યક્રમમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. ફેલોશીપ માટે આવેલી અરજીઓ સાથેના વ્યક્તિગત આવેદનનાં મૂલ્યાંકન, અંતિમ પસંદગી માટે ઇન્ટરવ્યૂ તેમજ ત્યારબાદ ફેલો યુવાઓને તાલીમ માટે મેન્ટર તરીકે પણ ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ સેવાઓ આપવાની છે. એટલું જ નહીં, ફેલોના કાર્યકાળ દરમિયાન ફેલો દ્વારા કરવામાં આવેલ કામગીરીના ઇવેલ્યુએશનમાં પણ IIM, અમદાવાદના તજજ્ઞોનો સહયોગ લેવામાં આવશે અને કાર્યકાળ પૂર્ણ થયા પછી ફેલોને ગુજરાત સરકાર અને IIM, અમદાવાદ સંયુક્ત સર્ટિફિકેટ પણ આપશે.
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની નીતિઓના ઘડતર, સેવા વિષયક બાબતો, જન કલ્યાણ યોજનાઓ વગેરેમાં નવિન અને અસરકારક અભિગમોના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રીકાળ દરમિયાન શરૂ કરાવેલા સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામને તેમના માર્ગદર્શનમાં આગળ ધપાવતા હવે ‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ’ શરૂ કરવાની દિશા લીધી છે.વડાપ્રધાનએ રાષ્ટ્રની મહત્વપૂર્ણ વિકાસ અને જનહિત યોજનાઓના અમલીકરણમાં તજજ્ઞોના અનુભવ જ્ઞાનના સહયોગની શરૂ કરેલી નવતર પરંપરા ગુજરાતમાં આ ‘સી.એમ. ફેલોશીપ’ માં પણ અપનાવવાનો મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે.
 
રાજ્યના હોનહાર યુવાઓને એક વર્ષની આ ફેલોશીપથી રાજ્ય અને સમાજની સેવા માટે સક્રિય યોગદાન આપવાની તક ઉપલબ્ધ થવાની છે. ‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ’માં ૬૦ કે તેથી વધુ ટકા સાથે સ્નાતક થયેલા અને ૩૫ વર્ષથી ઓછી વયના ઉમેદવારોને તક અપાશે.રાજ્ય સરકાર આવા પસંદ થયેલા સી.એમ ફેલોને બે અઠવાડિયાની તાલીમ તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં બે સપ્તાહ ફિલ્ડ ટ્રેનિંગ આપશે. આવા સી.એમ. ફેલો યુવાઓ દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગો અંતર્ગત પ્રોજેક્ટસ હાથ ધરાશે. આ યુવાઓના ઇનોવેટિવ વિચારો, આગવું કૌશલ્ય તથા નવ યુવાઓની ઉર્જા-ચેતના સરકારના જનહિત કાર્યોમાં ઉપકારક બનશે.
 
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સરદાર સાહેબની દીર્ઘદ્રષ્ટિ અને વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની વિકસિત ભારતની પ્રતિબદ્ધતાને ગુજરાતમાં વધુ વેગવંતા બનાવવાની નેમ સાથે આ ‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ’ જાહેર કર્યો છે. સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલે આગવી કુનેહ, કોઠાસૂઝ અને કુશાગ્ર વહીવટકર્તા તરીકે સ્વતંત્રતા બાદ રજવાડાઓનું વિલીનીકરણ કરી એક અને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે. તેમણે સિવીલ સર્વિસીસ ક્ષેત્રને પણ આપણા પોતાના બંધારણને અનુરૂપ ઢાંચો અને ઓપ આપીને દેશમાં વહીવટી સુધારણાથી સુશાસન પ્રણાલી સ્થાપિત કરી છે.
 
મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે સરદાર સાહેબની જન્મજયંતીએ આ ‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ’ ની જાહેરાતથી સરદાર સાહેબનું યથોચિત ગૌરવ સન્માન કર્યું છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે પ્રતિભાવંત યુવાશક્તિને આ સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામમાં જોડાવા આહવાન કર્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત ભારત માટે યુવાશક્તિ માટે પ્રતિભા નિખાર, બૌદ્ધિક કૌશલ્ય વિકાસ અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવાની તક આ ‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ’ થી મળશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર