એક સમયે સામ સામે થયેલા ગુજરાત અને દિલ્હીના શિક્ષણમંત્રી એક જ ગાડીમાં બેઠા, જીતુ વાઘાણી મનિષ સિસોદિયા સાથે પડછાયાની જેમ રહ્યાં

બુધવાર, 1 જૂન 2022 (16:05 IST)
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 1 અને 2 જૂન દરમિયાન બે દિવસીય નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટરની બેઠક યોજાઈ રહી છે. આજે શરૂ થયેલી આ બેઠકમાં સમગ્ર દેશના શિક્ષણમંત્રીઓ હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમ પહેલા જ સૌથી વધુ ચર્ચા ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાધાણી અને દિલ્હીના શિક્ષણ મંત્રી મનિષ સિસોદીયાને લઈને થઈ રહી છે.

અમદાવાદ એરપોર્ટથી તમામ મંત્રીઓને ગાંધીનગર ખાતેના કાર્યક્રમમાં લઈ જવામાં આવ્યાં ત્યારે ધર્મેન્દ્ર પ્રધાન, જીતુ વાઘાણી અને મનિષ સિસોદિયા એકજ ગાડીમાં વિદ્યા સમીક્ષા કેમ્પ જવા માટે રવાના થયાં હતાં.થોડા સમય અગાઉ મનિષ સિસોદિયાએ ગુજરાતના શિક્ષણને લઈને સવાલો ઉઠાવ્યાં હતાં. ત્યાર બાદ ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ એક કાર્યક્રમમાં વિવાદિત નિવેદન કર્યું હતું. જીતુ વાઘાણીના એ નિવેદનને કારણે રાજકારણમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. આ નિવેદન બાદ ભાજપના અનેક નેતાઓ ડેમેજ કંટ્રોલની ભૂમિકામાં આવી ગયાં હતાં. પરંતુ જો આ વખતે મનિષ સિસોદિયા કોઈ વિવાદિત નિવેદન કરે તો ફરી વિવાદ સર્જાઈ શકે તેવી આશંકાને કારણે જીતુ વાઘાણી તેમની સાથે પડછાયાની જેમ રહ્યાં હતાં. હવે આ બાબતે કયું કારણ જવાબદાર છે તે અંગેની અનેક અટકળો વહેતી થઈ છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સહિત વિવિધ રાજ્યોના શિક્ષણ મંત્રીઓ તથા તેમના પ્રતિનિધિઓએ આજે ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓઇન્ફોર્મેટિક્સ (BISAG),ગાંધીનગરની મુલાકાત લીધી હતી. BISAGનું SATCOM નેટવર્ક એ ઉપગ્રહ સંચાર આધારિત નેટવર્ક સેવા છે જે રાજ્યભરમાં દૂરવર્તી ક્રિયા-પ્રતિક્રિયા પૂરી પાડે છે. હાલમાં BISAG કૃષિ, જમીન અને જળ સંસાધન, વ્યવસ્થાપન, પડતર જમીન/વોટરશેડ વિકાસ, વનસંવર્ધન, આપત્તિ વ્યવસ્થાપન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણને લગતાં આયોજન અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ માટે ભૌગોલિક-અવકાશી તકનિકોનો અમલ કરવા માટે કામ કરી રહી છે. SATCOMમાં અપલિંક અર્થ સ્ટેશન, કંટ્રોલ રૂમ, ટીવી સ્ટુડિયો અને પ્રાપ્ત વર્ગખંડોનું નેટવર્ક સામેલ છે.આ નેટવર્કનો ઉપયોગ માઈક્રોસોફ્ટ અને TCS દ્વારા આયોજિત .net અને java શિક્ષણ સત્રો માટે વ્યવહારુ તાલીમ પ્રસારિત કરવા માટે થાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર