ટીબી નાબૂદી લક્ષ્યાંકમાં ગુજરાત આગળ, 95% સિદ્ધિ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સફળતા મળી
સોમવાર, 24 માર્ચ 2025 (10:24 IST)
ગુજરાતે ટીબી મુક્ત ભારતના ધ્યેય તરફ નોંધપાત્ર પ્રગતિ નોંધાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2025 સુધીમાં ભારતને ટીબી મુક્ત બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ટીબી નોંધણી અને સારવાર સફળતાના સંદર્ભમાં નીતિ આયોગ દ્વારા નિર્ધારિત લક્ષ્યના 95% પ્રાપ્ત કર્યા છે. અહીં સારવાર પૂર્ણ થવાનો દર 91% હતો.
ગુજરાતને 2024 માં 1,45,000 ટીબી દર્દીઓની ઓળખ અને નોંધણી કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, જેમાંથી 1,37,929 ટીબી દર્દીઓની ઓળખ અને નોંધણી સફળતાપૂર્વક કરવામાં આવી હતી. આ સાથે, 1,24,581 દર્દીઓએ સફળતાપૂર્વક તેમની સારવાર પૂર્ણ કરી છે, જે સારવાર પૂર્ણ થવાનો દર 90.52% બનાવે છે. આ નોંધાયેલા ટીબી દર્દીઓમાંથી 1,31,501 ટીબી દર્દીઓને સારવારની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે.
2024માં ટીબીના દર્દીઓને ₹43.9 કરોડની નાણાકીય સહાય
ટીબીના દર્દીઓને નિયમિત સારવાર લેવા માટે પ્રેરિત કરવા અને પૈસાના અભાવે સારવારમાં કોઈ તકલીફ ન પડે તે માટે ગુજરાત સરકાર નિક્ષય પોષણ યોજના હેઠળ ટીબીના દર્દી દીઠ દવાઓના ખર્ચ પેટે રૂ. 500 ની નાણાકીય સહાય પૂરી પાડી રહી છે. વર્ષ 2024માં 1,18,984 ટીબી દર્દીઓને ₹43.9 કરોડની સહાય પૂરી પાડવામાં આવી હતી. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે 1 નવેમ્બર, 2024થી ટીબીના દર્દીઓને આપવામાં આવતી નાણાકીય સહાય વધારીને ₹1000 કરી છે.
પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ, ગુજરાતે નિક્ષય પોર્ટલ પર 10,682 નિક્ષય મિત્રોની નોંધણી કરી છે અને તેમના દ્વારા 3,49,534 પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારની આ પહેલ એ સુનિશ્ચિત કરે છે કે ટીબીના દર્દીઓને માત્ર દવાઓ જ નહીં પરંતુ યોગ્ય પોષણ પણ મળે. આ ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય બન્યું છે.
100-દિવસીય સઘન ટીબી નાબૂદી અભિયાનના અમલીકરણમાં ગુજરાત અગ્રેસર છે
ટીબીના કેસોની વહેલી તપાસ અને સારવાર માટે, ભારત સરકારે 7 ડિસેમ્બર 2024ના રોજ "100-દિવસીય સઘન ટીબી નાબૂદી અભિયાન" શરૂ કર્યું છે. આ અભિયાનમાં ગુજરાતે અત્યાર સુધીમાં 16 જિલ્લા અને 4 મ્યુનિસિપલ કોર્પોરેશનનો સમાવેશ કર્યો છે. 20 માર્ચ, 2025 સુધી આ અભિયાન હેઠળ 35.75 લાખ લોકોની ટીબી તપાસ કરવામાં આવી હતી. આ વ્યાપક પરીક્ષણોના પરિણામે, 16,758 નવા ટીબી દર્દીઓની ઓળખ કરવામાં આવી છે અને તેમની સારવાર શરૂ કરવામાં આવી છે.
ટીબીના દર્દીઓને વધુ સારી સુવિધા માટે લાયન્સ ક્લબ્સ ઈન્ટરનેશનલ સાથે MoU
ગુજરાત સરકારે તાજેતરમાં 6 માર્ચ 2025ના રોજ લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ સાથે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે જેનો હેતુ રાજ્યના તમામ ટીબીના દર્દીઓને દર મહિને સારવાર દરમિયાન ન્યુટ્રિશન કીટ આપવાનો છે. આ અંતર્ગત ટીબીના દર્દીઓને દત્તક લઈ તેમને પોષણ સહાય પૂરી પાડવામાં આવશે. લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ રાજ્યભરના દર્દીઓને પોષણ સહાય પૂરી પાડવા સક્રિય ભૂમિકા ભજવશે. રાજ્ય સરકારને આશા છે કે આવા પ્રયાસોથી ટીબીના દર્દીઓના રિકવરી રેટમાં તેજીથી સુધારો થશે.