સુરતમાં ગણેશજીના પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં ચોંકાવનારા ખુલાસા થયા

મંગળવાર, 10 સપ્ટેમ્બર 2024 (12:48 IST)
સુરતમાં ગણેશજીના પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં બાળકોને આગળ ધરી કાશ્મીર સ્ટાઇલમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. વરિવાયી બજાર પોલીસ ચોકીથી માત્ર 200 મીટર દૂર એકતા યુવક મંડળના વરિયાવી ચા રાજા ગણેશના પંડાલ ઉપર થયેલો પથ્થરમારો એક ચોક્કસ ષડયંત્ર હોવાની દિશા તરફ તપાસ લંબાઇ છે. જે પંડાલ પર પથ્થરમારો થયો હતો તેનાથી 200 મીટર રેડિયસમાં બે પંડાલ આવ્યા છે તેની ઉપર આગલા દિવસે પથ્થરમારો થયો હતો, પરંતુ પોલીસે આ ઘટનાને અવગણી અને રવિવારે ત્રીજા પંડાલ પર હુમલો થતાં શહેરની શાંતિ ડહોળાઇ છે.

આ પંડાલ ઉપર હુમલો કરવા રિક્ષામાં આવનાર 12થી 13 વર્ષના જે સગીરોને પોલીસે પકડયા હતા તે એક કિલોમીટર દૂરથી આવ્યા હોવાનું બહાર આવતાં નિશ્ચિત કોઇએ તેમને હુમલો કરવા પ્રેર્યા હતા એ હવે ઘેરી મુદ્દો તપાસનો મુદ્દો છે.રવિવારે રાત્રે સાડા નવેક વાગ્યાના અરસામાં ગણપતિ મંડપ પર રિક્ષામાં સવાર 12થી 13 વર્ષની વયના વિધર્મી તરુણોએ પથ્થરમારો કર્યો હતો. તેમને ડિટેઇન કરી આશરે 700 મીટર દૂર સ્થિત સૈયદપુરા પોલીસચોકીમાં લઇ જવાયા હતા. તે વખતે બંને કોમનું ટોળુ ભેગું થઇ ગયું હતું. પોલીસ અને રાજકીય આગેવાનાએે ટોળાને વિખરાઇ જવાનું કહેતા હતા ત્યારે જ ચોકીની પાછળ મસ્જિદ નજીકની ઝાડીઓમાંથી સખત પથ્થરમારો થયો. પથ્થરમારામાં ડી.સી.પી. સહિત પોલીસ અધિકારીઓ તેમજ અનેક લોકો ઘવાતા મામલો તંગ બન્યો હતો. પોલીસે પંડાલમાં હુમલો કરનાર છ સગીરો તથા બાદમાં પોલીસ અને ટોળા પર પથ્થરમારો કરનાર 28 શકમંદોને ડિટેઇન કર્યા હતા.આ હુમલો કોઈ આવેગની ઘટના નહીં પરંતુ નિશ્ચિત ષડયંત્ર હોવાની દિશામાં તપાસનો દોર શરૂ થયો છે. સોમવારે બપોરે સૈયદપુરા પોલીસ ચોકી બાજુમાં આવેલી ગેરકાયદે મિલકતો પર પાલિકા તંત્રની આકરી કાર્યવાહી કરાઈ હતી. સુડાના રિઝર્વેશન એરિયામાં ઊભી થયેલી ગેરકાયદે મિલકત સુરત શહેર ભાજપ લઘુમતી મોરચાના અધ્યક્ષ મોહસીન મિર્ઝાના ભાઇની છે. અધ્યક્ષના ભાઇની આ મિલકત સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ દ્વારા તોડી પાડવામાં આવ્યા બાદ પદાધિકારીઓ, અધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારો સુધી રીતસરનો કકળાટ કરવામાં આવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર