ડોમિસાઈલ વિદ્યાર્થીઓ માટે સીટો અનામત રાખવાનાં નિયમને રદ કરવાનો ગુજરાત હાઈકોર્ટનો ઈનકાર

મંગળવાર, 26 જૂન 2018 (10:32 IST)
ગુજરાતમાં મેડિકલ ક્ષેત્રે પ્રવેશ માટે રાજ્યના ડોમિસાઈલ એટલે કે રાજ્યના નિવાસી હોય તેવા વિદ્યાર્થીઓ માટે 85 ટકા સીટો અનામત રાખવા રાજ્ય સરકારે ઘડેલા નિયમને રદ કરવા ગુજરાત હાઈકોર્ટે સોમવારે સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. 

ગુજરાત સરકારના આ નિયમને રદ કરવા સીબીએસઈના વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને તેમાં માગ કરાઈ હતી કે ગુજરાત બોર્ડમાં ધોરણ 12 કર્યું હોય તેવા વિદ્યાર્થીઓને મેડિકલમાં પ્રવેશમાં 85 ટકા જેટલા મોટા ક્વોટાનો લાભ આપવાથી તેમના સંતાનો ગુજરાતના નિવાસી હોવા છતાં મોટો ગેરલાભ થાય છે. આથી આ કાયદો રદ કરવો જોઈએ. જો કે ગુજરાત સરકારના નિયમને હાઇકોર્ટે યોગ્ય ઠેરવીને સીબીએસઇ વિદ્યાર્થીઓના વાલીઓ આ નિયમને રદ કરવાનો ઇનકાર કર્યો હતો.

હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે, મેડિકલમાં ડોમિસાઈલનો લાભ લેવા જે-તે વિદ્યાર્થીએ ફક્ત ધો. 12 જ નહીં પરંતુ ધો. 10 પણ ગુજરાતની અંદર ગુજરાત બોર્ડમાં જ કરેલું હોવું જોઈએ તેવો નિયમ પણ યોગ્ય જ છે. અલબત્ત કોઈ અગમ્ય કારણસર ગુજરાતના ડોમિસાઈલ હોય તેવા વિદ્યાર્થીએ ધો. 10 ગુજરાત બહાર કર્યું હોય તો તે સંજોગોમાં આવા વિદ્યાર્થીઓને મેડિકલમાં પ્રવેશ અંગે યોગ્ય નિર્ણય આજના દિવસમાં જ લેવા હાઈકોર્ટે ગુજરાત સરકારને આદેશ કર્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર