પડ્યા પર પાટુ- અછતમાં ફસાયેલા ખેડુતોને પાક માટેની લોન ભરપાઈ કરવા બેંકોએ નોટીસ ફટકારી

બુધવાર, 14 નવેમ્બર 2018 (15:38 IST)
સૌરાષ્ટ્રમાં એક તરફ મગફળીના પાક માટે નખાયેલા ‘ખેલ’ના કારણે સરકારની ટેકાના ભાવની વાસ્તવિક ખરીદી શરૂ થાય અને ખેડુતોના બેન્ક ખાતામાં પૈસા આપે તે પુર્વે જ રૂા.300 થી રૂા.900ના ભાવે ખેડુતો પાસેથી મગફળી પડાવવાની ચાલ સફળ બની રહી છે. તે સમયે જ આ ક્ષેત્રના ઓછા વરસાદના કારણે રવિપાક લેવાશે કે કેમ તે પ્રશ્ર્ન છે. 

તે વચ્ચે અછતમાં ફસાયેલા ખેડુતોને અગાઉની ખરીફ પાક માટેની લોન ભરપાઈ કરવાની નોટીસ મળતા જબરો આક્રોશ સર્જાયો છે. ખાસ કરીને અગાઉથી જ ઓછા વરસાદનું કાયમી કેન્દ્ર રહેવા સુરેન્દ્રનગરના અનેક તાલુકાના ખેડુતોને બેન્ક તરફથી પાક-લોન ભરપાઈ કરવાની નોટીસ મળી છે. રાજયમાં આ વર્ષ પાક નિષ્ફળ જવાથી ખેડુતોની આત્મહત્યાનો સીલસીલો વધ્યો છે અને અત્યાર સુધીમાં 12 ખેડુતોએ જીવન ટુંકાવ્યા છે. એક તરફ રાજય સરકારે સુરેન્દ્રનગર જીલ્લાના 7 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. તે તાલુકાઓના ખેડુતોને જ પાક લોન ભરપાઈ કરવાની નોટીસ મળવા લાગી છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાએ લીંબડી, ચોટીલા, વઢવાણ, ચુડા અને મુળી તાલુકાના ખેડુતોને 15 દિવસમાં તેમની પાક લોનના નાણા ભરવાની નોટીસ મળી છે. નહીતર કાનુની કાર્યવાહીની ધમકી અપાઈ છે. 
આ ધિરાણ 2017નું છે જેનું રીપેમેન્ટ 2018માં કરવાનું હોય છે. આ પ્રકારના ધિરાણમાં કિસાન ક્રેડીટ કાર્ડ લેનારાઓનો પણ સમાવેશ થાય છે. રસપ્રદ બાબત એ છે કે ખેડુતોની આત્મહત્યાનો મુદો સુપ્રીમમાં લઈ જનાર ભરતસિંહ ઝાલાને પણ આ નોટીસ મળી છે. 2017માં અહી અતિવૃષ્ટિથી પાક નાશ પામ્યો હતો તેની કેશ ડોલ સહાય પણ મળી નથી અને 2018માં અહી ઓછા વરસાદની સ્થિતિથી પાક થયો નથી. જેમાંના 33% કે વધુ પાક નાશ પામેલ છે. રાહત-આપવા ખુદ સરકારે સુપ્રીમમાં કબુલ્યું હતું. સુરેન્દ્રનગરના જીલ્લા કલેકટર કે.રાજેશે કબુલ્યું કે ખેડુતોને નોટીસ મળી છે. સરકારે અછતગ્રસ્ત જાહેર કરવામાં પણ ‘ચાલ’ આવી છે. આ તમામ તાલુકાઓને 1 ડીસે.ની અછતગ્રસ્ત ગણાશે પણ સ્ટેટ બેન્કના અધિકારીઓ કહે છે કે આ એક રીકવરી પ્રક્રિયા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર