દાહોદમાં ૭૨માં પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. દેશની આઝાદા બાદ બંધારણ સમિતિએ આપેલા વિશ્વના અજોડ કાયદા એવા ભારતીય બંધારણનો આપણે સૌએ સ્વીકાર કર્યાના અવસરને પૂર્ણ શાનથી ઉજવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઇ છે. પ્રજાસત્તાક દિને પોલીસ તંત્ર દ્વારા ૯૦ રાઉન્ડ ગોળીબાર કરી તિરંગાને સલામી આપવામાં આવશે.
જેમાં હરીફો ઉપર એક ટ્રુપ દ્વારા વારાફરતી વારંવાર બાણવર્ષા કરવામાં આવે છે. જેથી દુશ્મનો ઉપર રીતસર બાણનો વરસાદ થઇ જાય. બાદમાં દારૂગોળાની શોધ થઇ. એટલે, વોલી ફાયરિંગ તોપ સાથે જોડાઇ ગયું. ભારતમાં આ પરંપરા અંગ્રેજોના શાસનકાળ દરમિયાન દાખલ થઇ.
વળી, અંગ્રેજોએ ભારતના રજવાડાઓને તેના રાજ્યના કદના આધારે તોપોની સલામી આપવાનું નિયત કર્યું હતું. કોઇ રાજાને પાંચ તોપની તો કોઇ રાજાને ૨૧ તોપની સલામી આપવામાં આવતી હતી. એટલે અંગ્રેજી અમલદારો તોપો ફોડીને રાજાઓ પ્રત્યે સન્માન અને હર્ષની લાગણી વ્યક્ત કરતા હતા. હવે, આ જ પરંપરા સુરક્ષા જવાનોએ તિરંગાની શાનને કેન્દ્રમાં બરકરાર રાખી છે.
આગામી તા. ૨૬ના રોજ અહીંના નવજીવન કોલેજના મેદાનમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ભાગ લઇ રહેલી ૧૨ પૈકી એક પ્લાટૂન વોલી ફાયરિંગની પણ છે. જેમાં ૩૦ જેટલા પોલીસ જવાન જોડાયા છે. જે હર્ષધ્વની કરવાના છે. તિરંગાને સલામી અપાયા બાદ આ જવાનો ૩૦૩ બંદૂકમાંથી ફાયરિંગ કરી રાષ્ટ્રધ્વજને સન્માન આપશે. કોઇના પ્રત્યે સર્વોચ્ચ માન આપવાની આ પ્રથા અનોખી છે. દાહોદમાં લગભગ ૯૦ રાઉન્ડ ગોળીબાર કરી તિરંગાને સન્માન આપવામાં આવશે.