જૂનાગઢના ગિરનાર પર્વત પર એક અત્યંત દુખદ ઘટના બની છે. ગિરનારના દર્શનાર્થે આવેલા અમદાવાદના એક યાત્રિકનું આશરે 2500 પગથિયાની ઊંચાઈએથી નીચે પટકાતા કરુણ મોત નીપજ્યું છે. આ મૃતકનું નામ આશિષ દોષી હોવાનું સામે આવ્યું છે. હાલ આ આશિષ દોષીના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ અંગે હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે
મૃતક આશિષભાઈ અમદાવાદની જીવરાજ સોસાયટીમાં શારદા શાળા પાસે રહેતા હતા. આ અકસ્માત અંગે ભવનાથ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતે મોત BNSS 194 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના માતા રસીલાબેન અમૂલભાઈ દોશીએ આ અંગેની જાણકારી પોલીસને આપી હતી. વર્ષના અંતિમ દિવસે બનેલી આ ઘટનાથી પરિવાર અને જેસર પંથકમાં ભારે શોક વ્યાપી ગયો છે.
ગિરનાર પર્વત પર કેટલીક જગ્યાએ સીડીઓ સાંકડી, ઢોળાવવાળી અને લપસણી હોય છે. થાક લાગ્યો હોય ત્યારે ઉતાવળ ન કરવી, ફોટા કે સેલ્ફી લેતાં સાવધાન રહેવું અને સુરક્ષિત જગ્યાએ જ વિરામ લેવો અત્યંત જરૂરી છે. થોડી સાવચેતી મોટી દુર્ઘટનાને અટકાવી શકે છે. વહીવટી તંત્ર અને સ્થાનિક લોકો દ્વારા યાત્રિકોને વારંવાર સૂચના આપવામાં આવે છે કે પર્વત પર ચડતી કે ઉતરતી વખતે લપસણી જગ્યાએ બેસવાનું કે સેલ્ફી લેવાનું ટાળવું જોઈએ.