દાહોદમાં જાહેરમાં ફટાકડા ફોડનારા લોકોએ પોલીસ સાથે દિવાળી મનાવવી પડશે

બુધવાર, 3 નવેમ્બર 2021 (09:15 IST)
દાહોદ નગર અને જિલ્લાના નાગરિકોને દીપાવલી પર્વની શુભકામના પાઠવતા જિલ્લા પોલીસ અધીક્ષક શ્રી હિતેશ જોયસરે દિવાળીનું પર્વ સારી રીતે, સુરક્ષિત રીતે અને કોવીડ એપ્રોપ્રિએટ બિહેવિઅર સાથે મનાવવા અપીલ કરી છે. 
 
એક સંદેશમાં એસપી જોયસરે જણાવ્યું છે કે, છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલી કોરોનાની મહામારી દરમિયાન દાહોદના નાગરિકોનો અદ્દભૂત સહયોગ મળ્યો છે. આવા જ સહયોગની અપેક્ષા આ દિવાળીના પર્વમાં નાગરિકો પાસેથી છે. કારણ કે, હજુ કોરોના ગયો નથી અને તેની ત્રીજી લહેર આવવાની પૂરી શક્યતા છે. દાહોદ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી છે અને તેમાં નાયબ પોલીસ અધીક્ષક, પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આ સપરમા દિવસોની શાંતિથી ઉજવણી કરવા જણાવવામાં આવ્યું છે. 
 
તેમણે એમ પણ કહ્યું કે, સુપ્રિમ કોર્ટના આદેશને પગલે ગૃહ વિભાગ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને તેમાં દિવાળીના પર્વમાં ફટાકડા ફોડવા માટે સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો છે. પર્યાવરણને નુકસાન ના થાય એવા ગ્રિન ક્રેકર્સ ફોડવાના રહે છે. જાહેરમાં કોઇ સ્થળે ફટાકડા ફોડવાના નથી. રાત્રે આઠથી દસ વાગ્યા દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે. આ બાબતનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. 
 
જોયસરે કહ્યું કે, દિવાળી પર્વની ઉજવણી કોઇની પણ ધાર્મિક, સામાજિક લાગણી ના દૂભાઇ એ રીતે કરવાની છે. દિવાળી એ પ્રકાશનું પર્વ છે અને પરસ્પર ભાઇચારાનું પર્વ છે. કોઇની પણ લાગણીને ઠેસ પહોંચાડવાના બદલે ખુશી-આનંદની વહેંચણી કરીએ. કોઇ જગાએ ખોટી ભીડ ના કરવી. ભીડના કારણે કોરોના ફેલાઇ છે. બહાર નીકળતી વખતે માસ્ક પહેરવું જરૂરી છે. 
 
દિવાળી પર્વમાં બહાર ફરવા જનારા નાગરિકો પોતાનું સરનામું નજીકના પોલીસ સ્ટેશનને સાદી અરજી સાથે આપતા જાય એવો અનુરોધ કરતા એસપીશ્રીએ કહ્યું કે, બહાર ફરવા જનારા પરિવારના બંધ મકાનના વિસ્તારમાં વિશેષ પેટ્રોલિંગ કરવામાં આવશે. વેકેશન દરમિયાન બંધ શાળા કોલેજો કે અન્યશૈક્ષણિક સંસ્થાનો અંગે જે તે ગામના સરપંચો, ફળિયાના વ્યક્તિઓને વિશેષ સચેત રહેવાની અપીલ કરાઇ છે. કેમકે, ચેતતા નર સદા સુખી. દિવાળીની સુરક્ષિત રીતે ઉજવણી કરવા પોલીસને સહયોગ આપવા પુનઃ  જોયસરે અપીલ કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર