અઠવાડિયા માત્ર 5 દિવસ જ ખુલ્લુ રહેશે સુરતનું કાપડ માર્કેટ, શનિ-રવિ રહેશે રજા

ગુરુવાર, 25 જૂન 2020 (12:35 IST)
સુરતમાં છેલ્લા ત્રણ દિવસમાં આશરે 400 થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. બુધવારે સુરતના મુખ્ય ઉદ્યોગ ટેક્સટાઇલ અને ડાયમન્ડના અગ્રણીઓ સહિત સુરત ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓ સાથે સુરત મનપા કમિશનર બંછા નિધી પાણી અને મેયર ડૉ જગદીશ પટેલે મિટિંગ કરી યોગ્ય ગાઇડ લાઇનનો અમલ કરવા માટે ચર્ચા હાથ ધરવામાં આવી હતી. જેમાં ટેક્સ્ટાઈલ માર્કેટના અગ્રણીઓએ માર્કેટ શનિવાર અને રવિવાર બંધ રાખવાનો પ્રસ્તાવ પણ પાલિકા કમિશનરને કર્યો હતો.
 
સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે આજે સુરતમાં સતત વધી રહેલા કોરોના કેસ ને ડામવા અને અટકાવવા માટે ખાસ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સુરત ડાયમંડ ઉદ્યોગ, ટેક્સટાઇલ ઉદ્યોગ અને ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણીઓ હાજર રહ્યા હતા .સુરત ટેક્સટાઈલ અને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા આશરે 40 ટકા લોકો નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસોમાં સામેલ છે. જેથી સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર બંછા નિધી પાની એ ઉદ્યોગકારો સાથે અગત્યની બેઠક યોજી ઉદ્યોગમાં કામ કરનાર લોકો માટે ગાઈડલાઈન ની જાણકારી આપી હતી તેમજ કોરોના વાયરસ ન ફેલાઈ તે માટે અગત્ય ના મુદ્દાઓ પણ રજૂ કર્યા હતા.
 
અગાઉ પણ સુરત મહાનગરપાલિકા દ્વારા ડાયમંડ એસોસિયેશન ખાતે અને ગાઈડલાઈન હીરાઉદ્યોગ માટે આપવામાં આવી હતી અને હવે ટેક્સટાઈલ ઉદ્યોગમાં પણ સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસોને ધ્યાનમાં રાખી કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા દરેક એકમોના અગ્રણીઓને બોલાવી ગાઈડ લાઈન ની જાણકારી આપવામાં આવી હતી .જેમાં કંપનીને સેનેટાઈઝર કરવા ,કર્મચારીઓને પણ સેનેટાઈઝર કરવા અને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ રાખવા જણાવવામાં આવ્યું હતું. 
 
એસોસિએશનના પ્રમુખ અશોકભાઇ શાહે જણાવ્યું હતું કે અત્યાર સુધી ઉદ્યોગ સાથે સંકળાયેલા કોઇપણ કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યો નથી. પરંતુ ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા આશરે 85 જેટલા લોકો આ વાયરસના સંક્રમણમાં સંકળાયેલા છે. જેથી ગાઇડલાઇન પાલિકા દ્વારા ઉદ્યોગને આપવામાં આવી છે. બીજી બાજુ ફેડરેશન ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસિયેશનના અગ્રણીઓ એ પણ  હીરાઉદ્યોગના ત્રણ મુખ્ય બજાર જે રીતે શનિવારે અને રવિવારે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તે જ રીતે ટેક્સટાઇલ માર્કેટને પણ બે દિવસ બંધ રાખવામાં આવે તે રજૂઆત પાલિકા સામે કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર