એકશન ટેકન રિપોર્ટમાં આપ્યો જવાબ, સ્થળાંતર કરીને આવેલા 8432 કામદારોને 219 આશ્રય સ્થાનોમાં રખાયા

મંગળવાર, 7 એપ્રિલ 2020 (11:13 IST)
સમગ્ર રાજ્યમાં ઉભા કરાયેલાં 215થી વધુ આશ્રય સ્થાનોમાં 8400થી વધુ કામદારોની નિવાસની તથા અન્ય વ્યવસ્થા કરવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતમાં ફાઈલ કરવામાં આવેલી રીટ પિટીશનના જવાબમાં એકશન ટેકન રિપોર્ટ રજૂ કરતાં શ્રમ અને રોજગાર વિભાગે જણાવ્યું હતું કે “ કોરોના વાયરસ ફેલાતો અટકાવવા દેશવ્યાપી લોકડાઉન જાહેર કરાયો તે પછી તા. 4 એપ્રિલ, 2020ની સ્થિતિ મુજબ એકથી બીજા રાજ્યમા તથા રાજયની અંદર પણ એકથી બીજા સ્થળે શ્રમિકોના મોટા પાયે થઈ રહેલા સ્થળાંતરને રોકવા રાજ્યના વિવિધ જીલ્લાઓમાં ઉભા કરવામાં આવેલા 219 આશ્રય સ્થાનોમાં કુલ 8432 કામદારોની નિવાસ વ્યવસ્થા કરવામાં આવી છે. “
 
શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ જણાવ્યું હતું કે જીલ્લા કલેકટરોએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ 34 હેઠળ જાહેરનામુ બહાર પાડયુ છે અને રાજય સરકાર આ કાયદાની જોગવાઈઓ મુજબ શ્રમીકોની યોગ્ય કાળજી લઈ રહી છે. “કામદારોને નિવાસ અને ભોજનની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. તેમની જરૂરી તબીબી સંભાળ પણ લેવામાં આવી રહી છે તથા તાલિમ પામેલા કાઉન્સેલર તેમને માર્ગદર્શન આપી રહ્યા છે.“
 
25મી માર્ચથી 21 દિવસના દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી તે પછી  સ્થળાંતર કરીને આવેલા મજૂરોની ગુજરાતમાંથી હિજરત શરૂ થઈ હતી. હજારો શ્રમીકો ગુજરાતની સરહદ વટાવીને રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર  પહોંચી ગયા હતા પણ  કેન્દ્ર સરકારે કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા આંતર-રાજ્ય સરહદો સીલ કરવાના આદેશ આપ્યા તે પછી અન્ય ઘણાને આવુ કરતાં રોકવામાં આવ્યા છે. આમાંના ઘણા કામદારો રાજ્ય સરકારે સ્થાપેલાં આશ્રય સ્થાનોમાં તેમના પરિવાર સાથે રોકાયા છે.
 
“કેન્દ્ર સરકારે આપેલા નિર્દેશો અને માર્ગરેખાઓનુ પાલન કરીને રાજ્ય સરકારનુ વહિવટી તંત્ર કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે ચોકસાઈ દાખવીને લોકડાઉનનો અમલ કરી રહ્યું છે.''

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર