કામદારોને સમયસર વેતન મળે તે માટે શ્રમ અને રોજગાર વિભાગનો એકશન પ્લાન

રવિવાર, 5 એપ્રિલ 2020 (08:56 IST)
રાજ્ય સરકારે માલિકો દ્વારા સમયસર વેતન નહી ચૂકવવાની તથા અન્ય ફરિયાદોના નિવારણ માટે એક કન્ટ્રોલ રૂમ અને ટોલ ફ્રી હેલ્પલાઈન શરૂ કરશે. શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાe જણાવ્યું હતું કે “કોરોના વાયરસ ફેલાવાને કારણે હાલમાં ચાલી રહેલી લોકડાઉનની પરિસ્થિતિમાં ઘરમાં કામકાજ કરતા લોકો સહિતના ઔપચારિક અને બીનઔપચારિક કર્મચારીઓને પૂરેપૂરૂ વેતન આપવાનો નિર્દેશ આપતુ જાહેરનામુ કાયદા હેઠળ બહાર પાડી દેવામાં આવ્યું છે. 
 
આ જાહેરનામાનું એકંદરે પાલન થઈ રહ્યું છે. આમ છતાં જ્યારે પણ વેતન નહી ચૂકવવા અંગેના અહેવાલો પ્રાપ્ત થશે ત્યારે કલેકટર અને શ્રમ વિભાગના અધિકારીઓ કડક કાનૂની પગલાં ભરશે. અમે કોઈ કામદારને અન્યાય થાય નહી તે માટે અને તેમને પૂરૂ વેતન મળી રહે તે માટે એક એકશન પ્લાન તૈયાર કર્યો છે”.
 
આ એકશન પ્લાનના હિસ્સા તરીકે લેબર કમિશનરની ઓફિસમાં એક કન્ટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવશે અને ફરિયાદો મેળવવા માટે ચાર આંકડાની એક હેલ્પલાઈન પણ જાહેર કરવામાં આવશે. લેબર અધિકારીઓના ટ્વિટર હેન્ડલ ઉપર તથા લેબર કમિશનરથી માંડીને સરકારના શ્રમ વિભાગને અધિકૃત ફોન નંબર ઉપર પણ ફરિયાદ થઈ શકશે.
 
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે લેબર ઓફિસરો મારફતે રેન્ડમ ધોરણે ઈન્સપેકશન કરવામાં આવી રહ્યું છે અને ફરિયાદોનુ તાકીદે નિવારણ થાય તે માટે સુઓ મોટો પગલાં લેવામાં આવી રહ્યાં છે.
 
આ ઉપરાંત શ્રમ અને રોજગાર વિભાગ ફરિયાદ નિવારણની વ્યવસ્થા અંગે જાગૃતિ લાવવા તેની વેબસાઈટ ઉપરાંત લેબર કમિશનરેટના અધિકારીઓનાં 50થી વધુ ટ્વિટર હેન્ડલ મારફતે માહિતી પૂરી પાડશે.
 
વિપુલ મિત્રાએ વધુમાં જણાવ્યું હતું કે તેમણે તમામ લેબર ઓફિસરોને સૂચના આપી છે કે જાહેરનામાનો કડકાઈથી અમલ કરવામાં આવે અને નિયમિત, છૂટક, અને કોન્ટ્રાક્ટથી કામદારો અને કર્મચારીઓને પૂરૂ વેતન નહી આપનારા ઉદ્યોગો, દુકાનો, વેપારી એકમો અને ઘરના લોકો સામે પણ પગલાં લેવામાં આવે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર