કોંગ્રેસના ૪૩ ધારાસભ્યો બેંગ્લુરૂથી રક્ષાબંધનના દિવસે ગુજરાત પાછા ફરશે

ગુરુવાર, 3 ઑગસ્ટ 2017 (15:04 IST)
બેંગ્લુરૂના ઇગલટન રિસોર્ટમાં રાખવામાં આવેલા ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને ૭મી ઓગષ્ટે ગુજરાત પરત લાવવામાં આવશે. પક્ષ પોતાના ધારાસભ્યોને રક્ષાબંધનનો તહેવાર પરિવાર સાથે ઉજવી શકે તે માટે તેઓને પરત લાવશે. એ પછીના બીજા દિવસે એટલે કે ૮મીએ રાજયસભાની ચૂંટણી માટે વોટીંગ થશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યુ છે કે, અમારા ધારાસભ્યોને ગુજરાતની બહાર લઇ જવા માંગતા ન હતા પરંતુ ભાજપે અમને આવુ કરવા માટે મજબુર કર્યા છે. ધારાસભ્યો અહી અસુરક્ષા અનુભવી રહ્યા હતા તેથી તેઓને કોંગ્રેસના શાસનવાળા રાજયમાં લઇ જવામાં આવ્યા હતા. હવે તેમને રક્ષાબંધનના દિવસે પરત લાવવામાં આવશે કે જેથી તેઓ પોતાના પરિવાર સાથે તહેવાર મનાવી શકે. કોંગ્રેસના ધારાસભ્યો પણ પક્ષના આ નિર્ણયથી ખુશ છે. અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ  અમે તો પહેલેથી વિચારી રાખ્યુ હતુ કે, અમારે બે ધારાસભ્યો બહેનો કામીનીબા રાઠોડ અને ચંદ્રીકાબેન બારીયા સાથે તહેવારો ઉજવવો પડશે પરંતુ હવે અમે અમારા પરિવાર સાથે તહેવાર મનાવી શકશુ. 

વેબદુનિયા પર વાંચો