ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા અમદાવાદનો સાબરમતી રિવરફ્રન્ટ બંધ કરાયો

મંગળવાર, 25 જુલાઈ 2017 (13:40 IST)
ગુજરાતમાં સતત પાંચ દિવસથી વરસી રહેલા વરસાદના કારણે તબાહીનું સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ત્યારે રાજસ્થાનમાંથી ગુજરાતમાં ઘૂસેલા પાણીને લીધે ધરોઈ અને દાંતિવાડા ડેમમાં નવા નીરની ભરપુર પ્રમાણમાં આવક થઈ છે. જેને પરિણામે સોમવારે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા અમદાવાદનો રિવરફ્રન્ટ રાહદારીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

તકેદારીના પગલા રૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને અપીલ કરી છે કે જ્યાં સુધી જાણકારી આપવામાં ન આવે ત્યાં સુધી રિવરફ્રન્ટ ન જવા માટે સલાહ આપી છે.સાબરમતી નદીમાં પાણીના પ્રવાહમાં વધારાને ધ્યાનમાં રાખીને વાસણા બેરેજના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે. હવામાન ખાતાની આગાહી મુજબ હજુ ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે.ભારે વરસાદને કારણે અમદાવાદ તેમજ ગાંધીનગરની તમામ પ્રાથમિક શાળાઓમાં રજા રાખવાની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત તમામ શિક્ષકોને શાળામાં હાજર રહી લોકોને મદદ માટે કહેવામાં આવ્યું છે.
 
 
 

વેબદુનિયા પર વાંચો