'મહા' વાવાઝોડાનો ખતરો : સોમનાથ ખાતે યોજાતો કાર્તિકી પૂનમનો મેળો રદ

મંગળવાર, 5 નવેમ્બર 2019 (13:09 IST)
'મહા' વાવાઝોડાની આગાહીને કારણે ઇતિહાસમાં પહેલીવાર સોમનાથમાં થતો કાર્તિકી પૂર્ણિમાનો લોક મેળો રદ કરવામાં આવ્યો છે. વર્ષ 1955થી વર્ષમાં કારતક મહિનામાં એકવાર પાંચ દિવસ માટે કાર્તિકી પૂર્ણિમાનો મેળો યોજાય છે. જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવી જતા હોય છે. આ અંગે સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટીએ જણાવ્યું છે કે,1955માં સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ મોરારજીભાઇ દેસાઇએ આ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. પહેલા આ મેળો 3 દિવસ માટે થતો હતો જે હવે છેલ્લા 10 વર્ષથી પાંચ દિવસ માટે યોજવામાં આવે છે.' આ મેળા પાછળ એવી માન્યતા છે કે, કૈલાસ મહામેરૂપ્રસાદના નામે ઓળખાતા આ ભવ્ય દેવાલયનાં શિખરની ઉપર કાર્તિક પૂર્ણિમાની રાત્રીએ ચન્દ્ર વિશેષ રીતે પ્રકાશે છે. આ ખગોળશાસ્ત્રીય વિશેષતા છે કે, પૂનમની રાત્રીએ બાર વાગ્યે શિવની જ્યારે મહાપૂજા થાય છે ત્યારે ચન્દ્રમા એવી વિશેષ રીતે મંદિરના શિખરની ઉપર ગોઠવાઈ જાય છે કે જાણે ભગવાન શિવે ચંન્દ્રમાને મસ્તક ઉપર ધારણ કર્યો હોય. ઈતિહાસ ગાથા એ પણ કહે છે ''સોમનાથ જેવા પ્રાચીન શિવાલયમાં કુમારપાળે વિક્રમ સવંત 1225માં સોમનાથનો જીર્ણોદ્ધાર કરીને નવી પ્રાણપ્રતિષ્ઠા કાર્તિક પૂર્ણિમાએ કરેલી. આ પહેલાં ભીમદેવ પહેલાએ સવંત 1086માં સોમનાથ મહાદેવને પુજીને કાર્તિક પૂનમે ગ્રામદાન કરેલું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર